Western Times News

Gujarati News

ટુરીઝમ ક્ષેત્રે વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું

ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું

(એજન્સી)ગાંધીનગર, વર્ષ ૨૦૨૪માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે, જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ૯૯.૫ લાખ સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ વધીને ૨.૦૫ કરોડ થઇ છે જે કોવિડ પહેલાના વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૧૪.૮૫% નો વધારો દર્શાવે છે.

રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા સૌથી પસંદગીના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, જે વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે રાજ્યની વધી રહેલી પ્રતિષ્ઠાને પ્રકાશિત કરે છે. રાષ્ટ્રીય સ્તરે પ્રવાસન ક્ષેત્રની આ પ્રગતિનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને જાય છે, જેમણે ગુજરાતની સંસ્કૃતિ, પ્રાકૃતિક લાક્ષણિકતાઓ અને આધુનિક આકર્ષણ કેન્દ્રોને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે સતત પ્રયાસો કર્યા છે. તેમના અવિરત પ્રયાસોના લીધે ગુજરાત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક પસંદગીનું પ્રવાસન ક્ષેત્ર બન્યું છે અને ભારતના પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ, ૨૦૨૪ માં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓના આગમન બાબતે, ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મંત્રાયલ દ્વારા જણાવ્યા અનુસાર ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં ભારત વૈશ્વિક સ્તરે ૨૦મા ક્રમે છે જેમાં ૨.૦૫ કરોડ મુલાકાતીઓએ ભારતની મુલાકાત લીધી છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રવાસન ક્ષેત્રમાં ૮.૪૬ કરોડ લોકોને રોજગારની તકો પ્રાપ્ત થઇ છે. મૂડી રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય (નાણાકીય અને માળખાકીય સહાય) અને સ્વદેશ દર્શન ૨.૦ જેવી યોજનાઓના સહયોગથી આ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.

ગુજરાતે આ પહેલોના સહયોગ સાથે રાજ્યના ધાર્મિક સ્થળો, ઇકો ટુરિઝમ, સાંસ્કૃતિક વારસો અને આઇકોનિક સ્થળોને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે. ગુજરાતની આ સફળતા રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા આઇકોનિક પ્રોજેક્ટ અને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જેવા કાર્યક્રમોએ પ્રવાસન ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે અને પ્રવાસીઓના અનુભવને સમૃદ્ધ બનાવીને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનું ત્રીજુ સ્થાન એ માત્ર આંકડાકીય ઉપલબ્ધિ નથી પરંતુ તે એક સ્પષ્ટ વિઝન, સશક્ત નેતૃત્વ અને સાંસ્કૃતિક ગૌરવને દર્શાવે છે. હેરિટેજ, ઇકો ટુરિઝમ અને આઇકોનિક સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાત પસંદગીના વૈશ્વિક પ્રવાસન ક્ષેત્ર તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે.

વર્ષ ૨૦૨૪માં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ રાજ્યના વૈવિધ્યપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી જેમાં ધાર્મિક ક્ષેત્રો, હેરિટેજ સ્થળો, વાઇલ્ડલાઇફ અને આધુનિક કેન્દ્રોનો સમાવેશ થાય છે. સોમનાથ જ્યોર્તિલિંગમાં દર વર્ષે બહોળી સંખ્યામાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે જ્યારે આધ્યાત્મિક સાધકો માટે દ્વારકા હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે.

એશિયાટિક સિંહો માટે જાણીતું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ ગુજરાત આવતા પ્રવાસીઓ માટે હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે અને કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા ભારતની એકતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક બન્યું છે. આ સ્થળો પર દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે.

કચ્છના સફેદ રણે પ્રવાસીઓ માટે એક અનોખા લેન્ડસ્કેપ અને સાંસ્કૃતિક અનુભવના દ્વાર ખોલ્યા છે. આ સ્થળોના આકર્ષણના લીધે વર્ષ ૨૦૨૪માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.