Western Times News

Gujarati News

આખું જીવન મેડિકલ ક્ષેત્રે આપનાર પ્રો. ડૉ. વી. કે. પટેલે મૃત્યુ બાદ પોતાનો દેહ પણ મેડિકલ શિક્ષણને અર્પણ કર્યો

પિતા બાદ કાકાનું દેહદાન કરી એબીપી અસ્મિતાના શ્રી રોનક પટેલે શબ્દોથી નહીં, કર્મથી નિભાવ્યો પત્રકારધર્મ

મૃત્યુના શોકને સમાજ સેવાના અવસરમાં બદલી એક પરિવારના બે ભાઈઓએ દેહદાનથી પ્રગટાવી માનવતાની જ્યોત

અમદાવાદ, કહેવાય છે કે ‘શિક્ષક ક્યારેય નિવૃત નથી થતો’, આ વાતને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે અમદાવાદના એક એવા પરિવારે, જેણે પોતાના સ્વજનના મૃત્યુના શોકને સમાજ સેવાના અવસરમાં બદલી નાખ્યો છે.

આ વાત છે એક એવા ગુરુની, જેમણે આખું જીવન મેડિકલના વિદ્યાર્થીઓને ભણાવ્યા અને અંતે પોતાનો દેહ પણ એ જ વિદ્યાર્થીઓના સંશોધન માટે અર્પણ કરી દીધો. ડૉ. વિઠ્ઠલભાઈ કાનજીભાઈ પટેલ (ડૉ. વી.કે. પટેલ) માત્ર એક નામ નહોતું, પણ મેડિકલ શિક્ષણ જગતની એક સંસ્થા હતા.

32 વર્ષ સુધી અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાં ફાર્માકોલોજી વિભાગના વડા તરીકે ડૉ. વી. કે. પટેલે  હજારો ડોક્ટરો તૈયાર કર્યા. તેમણે લખેલું ફાર્માકોલોજીનું પુસ્તક આજે પણ મેડિકલ વિદ્યાર્થીઓ માટે ગીતા સમાન ગણાય છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે શિક્ષણમાં સુધારા લાવનાર આ વિદ્વાને મૃત્યુ બાદ પણ સમાજને એક મોટી પ્રેરણા આપી, ‘દેહદાન કરવાની પ્રેરણા’.

આ આખી ઘટનામાં સૌથી પ્રોત્સાહક પાસું એ છે કે આ પરિવારમાં દેહદાનની પરંપરા જાણે લોહીમાં છે. એબીપી અસ્મિતાના જાણીતા પત્રકાર શ્રી રોનકભાઈ પટેલના પિતા શ્રી નારણભાઈ પટેલ, જે પોતે એક નિવૃત્ત શિક્ષક હતા, તેમનું અવસાન જાન્યુઆરી 2023માં થયું ત્યારે પરિવારે સુરત સિવિલમાં તેમનું દેહદાન કર્યું હતું. આજે જ્યારે શ્રી નારણભાઈના નાના ભાઈ ડૉ. વી.કે. પટેલનું નિધન થયું, ત્યારે પરિવારે જરા પણ ખચકાયા વગર અમદાવાદ સિવિલમાં તેમનું પણ દેહદાન કરવાનો નિર્ણય લીધો.

ડૉ. વી. કે. પટેલના નિધન બાદ તેમના સંતાનો અને પરિવારે વડીલની અંતિમ ઈચ્છાને માન આપીને સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડૉ. વી. કે. પટેલના પુત્ર ડૉ. સ્નેહલ પટેલ તથા પરિવારના અન્ય સભ્યો ડૉ. મેઘા પટેલ, ડૉ. રૂપલ પટેલ અને ડૉ. નલિન પટેલ સહિત સમગ્ર પરિવારે ગૌરવપૂર્ણ રીતે દેહદાન કરી માનવતાની જ્યોત પ્રગટાવી છે.

એક પત્રકાર તરીકે શ્રી રોનકભાઈ પટેલ રોજ સમાજની અનેક ઘટનાઓ લોકો સુધી પહોંચાડે છે, પરંતુ જ્યારે પોતાના પરિવાર પર દુઃખની ઘડી આવી, ત્યારે તેમણે માત્ર શબ્દોથી નહીં પણ કર્મથી સમાજને દિશા બતાવી. પોતાના પિતા અને કાકા બંને વડીલોને દેહદાનના માધ્યમથી અમર બનાવીને તેમણે સાબિત કર્યું કે એક જાગૃત નાગરિક તરીકે સમાજ પ્રત્યેની જવાબદારી કેવી રીતે નિભાવી શકાય.

સિવિલ સુપ્રિન્ટેનડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે જ્યારે કોઈ ડૉક્ટર પોતે દેહદાન કરે છે, ત્યારે તે આવનારી પેઢીના ડૉક્ટરો માટે સૌથી મોટું પ્રોત્સાહન હોય છે. ડૉ. વી. કે. પટેલના આ દેહદાનથી મેડિકલના વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના સમજવામાં અને નવી દવાઓના સંશોધનમાં મોટી મદદ મળશે.

જીવતા રહ્યા ત્યાં સુધી હજારો દર્દીઓની સેવા કરી અને સેંકડો વિદ્યાર્થીઓને જ્ઞાન આપ્યું, અને હવે મૃત્યુ બાદ પણ તેમનો દેહ કોઈના જીવન બચાવવાનું સાધન બનશે. આ ઘટના સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની પ્રેરણા પૂરી પાડે છે. સાચે જ, આ પરિવારનું સમર્પણ માનવતાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.