આ યુદ્ધનો અંત નથી: ઈરાનના ખામેનીની અમેરિકાને ખુલ્લી ચેતવણી
(એજન્સી)તેહરાન, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ બાદ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ બુધવારે ઇસ્લામિક રિપબ્લિકની સેનાને યુદ્ધવિરામનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો.
જો કે, આ નિર્દેશની સાથે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે આ યુદ્ધનો અંત નથી. બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચોક્કસપણે કંઈક અંશે ઓછો થયો છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી.
ઈરાને તેના સૈન્યને ફાયરિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે આ સંઘર્ષનો અંત નથી. ઈરાને ચેતવણી આપી છે કે જો દુશ્મન કોઈ ભૂલ કરશે તો તેનો જવાબ સંપૂર્ણ તાકાતથી આપવામાં આવશે. યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્્યુરિટી કાઉન્સિલે એક કડક નિવેદન બહાર પાડ્યું. તેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે યુદ્ધવિરામ યુદ્ધના અંતનો સંકેત નથી.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેની સેના સંપૂર્ણપણે સતર્ક છે અને જરૂર પડ્યે તાત્કાલિક જવાબ આપવા માટે તૈયાર છે. ઈરાને વધુમાં ચેતવણી આપી હતી કે અમેરિકા અથવા ઇઝરાયલ દ્વારા કોઈપણ આક્રમણનો સંપૂર્ણ બળથી જવાબ આપવામાં આવશે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત હુમલાથી યુદ્ધ શરૂ થયું હતું. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હતું.
લગભગ ૩૯ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિસ્થિતિ અત્યંત નાજુક રહી છે. નાગરિકોએ આપેલા બલિદાનની પ્રશંસા કરતા ઈરાને કહ્યું કે તેણે આ સંઘર્ષમાં તેના મોટાભાગના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે અને દુશ્મનને નબળા પાડવામાં સફળ રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ હવે ભારતે પ્રતિક્રિયા આપી છે.
આ સમજૂતી એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે થોડા કલાકો પહેલા ઈરાનની સભ્યતાને મીટાવી દેવાની ધમકી આપી હતી. અચાનક આવેલા પરિવર્તને દુનિયાભરના નેતાઓને ચોંકાવી દીધા છે. ત્યારે હવે ભારતે મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે. ભારતે કહ્યું છે કે, ઉકેલ માટે વાતચીત જરૂરી છે.
