ગુજરાતના ૬૯ લાખ ખેડૂત પરિવારો માટે આર્થિક સંજીવની બની ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’
૧૨ વર્ષ : જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના –પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ગુજરાતમાં રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની સહાય સીધી ધરતીપુત્રોના ખાતામાં જમા
દેશમાં ૧૧ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૪.૨૭ લાખ કરોડથી પણ વધુની સહાય ચૂકવાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી ભારતના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાયું: શ્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી, ગુજરાત
સમયસર સહાય મળતા મજૂરી, ડીઝલ, મેન્ટેનન્સ જેવા નાના ખર્ચને પહોંચી વળવામાં સરળતા થઈ: ખેડૂત શ્રી રમેશભાઈ પટેલ
ગુજરાતમાં કૃષિ ક્રાંતિ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણની દિશામાં એક નવો ઈતિહાસ રચાયો છે. ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના‘ (પીએમ કિસાન યોજના) હેઠળ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં, એટલે કે કુલ ૨૨ હપ્તામાં રાજ્યના ૬૯.૨૫ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૨૩,૦૮૩ કરોડથી વધુની જંગી સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે.
દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે, આ યોજના ભારતના કૃષિ ક્ષેત્ર માટે આર્થિક સુરક્ષા કવચ સાબિત થઈ રહી છે. રાષ્ટ્રીય સ્તરે પણ આ યોજનાનો વ્યાપ અભૂતપૂર્વ રહ્યો છે, જે અંતર્ગત દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૪.૨૭ લાખ કરોડથી પણ વધુની સહાય ચૂકવીને દેશના અન્નદાતાને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંવેદનશીલ નેતૃત્વમાં ‘હર વર્ગ કા સમ્માન, હર પરિવાર કા કલ્યાણ’ ધ્યેયમંત્ર સાથે છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અને પહેલ થકી દેશના તમામ જરૂરિયાતમંદ તથા ગરીબ લોકોના જીવનમાં પ્રગટી છે સુખાકારીની જ્યોત.… pic.twitter.com/r74H9ViqZe
— CMO Gujarat (@CMOGuj) June 8, 2026
ગુજરાતમાં આ યાત્રાની શરૂઆત પ્રથમ હપ્તા વખતે રાજ્યના ૨૮.૬૫ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૫૭૨.૨૧ કરોડની ચૂકવણી સાથે થઈ હતી, જે આજે ૨૨ હપ્તાઓ પૂર્ણ થતાં સુધીમાં ૬૯.૨૫ લાખ લાભાર્થી કુટુંબો સુધી વિસ્તરી ચૂકી છે. તાજેતરમાં જ ૨૨મા હપ્તામાં ગુજરાતના ૫૦.૫૪ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. ૧,૦૧૦ કરોડથી વધુની સહાય સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે, યોજનાનો વ્યાપ અને તેની સફળતા દર વર્ષે સતત વધી રહ્યા છે, જેનાથી છેવાડાના ખેડૂત સુધી સરકારી સહાય કોઈ પણ અડચણ વગર પારદર્શી રીતે પહોંચી રહી છે.
રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પીએમ કિસાન યોજના અંગે પોતાના વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “પી.એમ. કિસાન સમ્માન નિધિ યોજનાએ ધરતીપુત્રોને આર્થિક સુરક્ષા-કવચ પૂરું પાડ્યું છે. આ સહાયના કારણે નાના અને સીમાંત ખેડૂતોને ખેતીમાં જરૂરી બિયારણ, ખાતર જેવા ઈનપુટ માટે આર્થિક મદદ પ્રાપ્ત થાય છે.”
સામાન્ય રીતે ખરીફ કે રવિ પાકની વાવણી સમયે ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે મોટી નાણાકીય કટોકટીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે ભૂતકાળમાં ખેડૂતો વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હતા. પરંતુ પીએમ કિસાન યોજના અંતર્ગત દર ચાર મહિનાના અંતરે અપાતો રૂ. ૨,૦૦૦નો હપ્તો ખેડૂતો માટે આર્થિક સુરક્ષા કવચ બની રહ્યો છે.
ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના ખેડૂત શ્રી ગોવિંદભાઈ પટેલ કહે છે કે, “સરકાર તરફથી વર્ષમાં જે ત્રણ હપ્તા સીધા બેંક ખાતામાં મળે છે, તેનાથી અમને ખેતી માટે ખાતર, બિયારણ અને દવા જેવી વસ્તુઓ લેવામાં સમયસર મદદ મળી રહે છે; આ રકમને લીધે અમે મગફળી અને કપાસ જેવા પાકોનું વાવેતર નિરાંતે કરી શકીએ છીએ.”
તેમની વાતમાં સૂર પુરાવતા ખેડૂત શ્રી રમેશભાઈ પટેલ કહે છે કે, “મજૂરી, ડીઝલ અને મેન્ટેનન્સ જેવા નાના ખર્ચને પહોંચી વળવામાં આવી સરકારી યોજનાઓ જ ખેડૂતને ખેતરમાં અડીખમ ટકી રહેવા માટે મજબૂત પીઠબળ પૂરું પાડે છે.”
આ નાણાકીય ટેકાના કારણે ગુજરાતના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો સમયસર ઉત્તમ ગુણવત્તાનું બિયારણ લાવી શક્યા છે, જેના લીધે જમીનની ઉત્પાદકતા અને પાકની તંદુરસ્તીમાં મોટો સુધારો નોંધાયો છે. વળી, યોજનાની શરૂઆતમાં રાખવામાં આવેલી ૨ હેક્ટર સુધીની જમીન મર્યાદાને વડાપ્રધાનશ્રીએ વ્યાપક જનહિતમાં સંપૂર્ણપણે દૂર કરી દેતાં હવે રાજ્યના તમામ જમીનધારક ખેડૂતોને આ સમાન આર્થિક ન્યાયનો લાભ મળી રહ્યો છે.
આ યોજનાની સૌથી મોટી અને પાયાની વિશેષતા એ છે કે, તેમાં વચેટિયાઓ કે ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી અને ૧૦૦ ટકા રકમ સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થાય છે. યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા અને સાચા અન્નદાતા સુધી જ લાભ પહોંચાડવા માટે સરકારે ટેક્નોલોજીનો સુદ્રઢ ઉપયોગ કર્યો છે.
આ અંતર્ગત ૧૨મા હપ્તાથી જમીનના ડિજિટલ રેકોર્ડની વેરિફિકેશન પ્રક્રિયા એટલે કે ‘લેન્ડ સીડિંગ‘ ફરજિયાત કરવામાં આવી. ત્યારબાદ ૧૩મા હપ્તાથી બેંક ખાતા સાથે ‘આધાર સીડિંગ‘ અને ડીબીટી પ્રક્રિયા અનિવાર્ય કરાઈ, જ્યારે ૧૫મા હપ્તાથી ‘ઈ-કેવાયસી‘ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ થ્રી-લેયર સુરક્ષા પ્રક્રિયાને કારણે વચેટિયાઓની ભૂમિકા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ અને યોજનાનો લાભ માત્ર અને માત્ર સાચા ધરતીપુત્રોને જ મળી રહ્યો છે.
