Western Times News

Gujarati News

ગ્યાસપુર મેટ્રો સ્ટેશન પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 150 જેટલા ઝૂંપડા બળી ખાક

બપોરે લાગેલી આગ પર કલાકોની કામગીરી બાદ કાબૂ; કારણ જાણવા તપાસ શરૂ કરાઈ 

અમદાવાદ (પ્રતિનિધિ) ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલ કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે બપોરે લાગેલી આગમાં અંદાજે 120થી 150 જેટલા ઝૂંપડા બળી ખાક થઈ ગયા હતા.

ફાયર વિભાગે 16 વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઝૂંપડાઓ નજીક-નજીક આવેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને મોટા પ્રમાણમાં ઝૂંપડાઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. વિસ્તારમાં અંદાજે 200 જેટલા ઝૂંપડાઓ આવેલા હોવાનું જણાવાય છે, જેમાંથી 120થી 150 જેટલા ઝૂંપડા બળીને ખાક થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

ફાયર કંટ્રોલ રૂમને બપોરે 3:02 વાગ્યે આગ અંગેનો કોલ મળતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી મિની અને વોટર ટેન્ડર તેમજ જમાલપુર ફાયર સ્ટેશનથી ગજરાજ સહિતના વિશેષ સાધનોની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આગ લાગ્યાના સમયે મોટાભાગના રહેવાસીઓ મજૂરી કામે ગયેલા હોવાથી ઝૂંપડાઓમાં લોકો હાજર ન હતા.

સ્થાનિક રહેવાસીઓ અને આસપાસના લોકોએ અસરગ્રસ્ત પરિવારોનો સામાન બચાવવા પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગની કામગીરીને કારણે આગને આસપાસના વિસ્તારોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગના કારણોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

આગ પર કાબૂ મેળવ્યા બાદ ફરી આગ ભભૂકી ન ઊઠે તે માટે કુલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આગની ઘટનામાં જાનહાનિ ટળી હોવા છતાં અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ઝૂંપડાઓ સાથે જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ બળીને નષ્ટ થઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. હાલ તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.