ભારતમાલા પરિયોજનાથી ગુજરાતને મળી નવી ગતિ: 1068 કિલોમીટરના માર્ગ નેટવર્કથી ગુજરાત ફાસ્ટ લેન પર
સુશાસનના 12 વર્ષ અને વિકસિત ભારત તરફ હરણફાળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના માર્ગો બન્યા આધુનિક
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ઔદ્યોગિક મહાનગરો વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો
ગુજરાતમાં લૉજિસ્ટિક્સ વધુ કાર્યક્ષમ બન્યું, માર્કેટ અને ફેક્ટરીઓ વચ્ચે એક્સેસમાં સુધારો થવાથી ઉદ્યોગોને ફાયદો –રાજ્યના બંદરો સુધી મજબૂત કનેક્ટિવિટી, રોજગારીમાં વધારો અને માલસામાનની ઝડપી હેરફેર શક્ય બની
Gandhinagar, આ વર્ષે શ્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 12 વર્ષ પૂર્ણ થયા છે. 26 મે, 2014ના દિવસે તેમણે દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના દૂરંદેશી નેતૃત્વમાં, ગુજરાતે દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના માર્ગોને આધુનિક બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું, જેથી રાજ્યમાં પરિવહન વધુ સુગમ બને, ઔદ્યોગિક વિકાસ ઝડપી થાય અને વિકાસનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે. આવી જ રીતે સમગ્ર દેશમા મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે તેમના દિશાનિદર્શનમાં વર્ષ 2017માં ભારતમાલા પરિયોજના શરૂ કરવામાં આવી હતી.
ભારતમાલા પરિયોજના એ સમગ્ર દેશમાં હાઇવેના વિકાસ માટેની એક મહત્વપૂર્ણ પરિયોજના છે, જેથી રસ્તાઓ પર કાર્ગોની અવરજવરમાં સુધારો થાય, લૉજિસ્ટિક્સ ખર્ચ ઓછો થાય અને આર્થિક કૉરિડોર, સરહદી રસ્તાઓ, દરિયાકાંઠાના રસ્તાઓ અને એક્સપ્રેસવેના નેટવર્ક દ્વારા દેશભરમાં કનેક્ટિવિટીમાં વધારો થાય. આ પરિયોજના અંતર્ગત સમગ્ર દેશમાં 50 આર્થિક કોરિડોરનું નિર્માણ, 550 જિલ્લાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગના લિન્કેજથી જોડાણ આપવું અને રોડ મુસાફરીના સરેરાશ સમયમાં સુધારો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પરિયોજના અંતર્ગત ગુજરાતમાં 1068 કિલોમીટર જેટલા આધુનિક માર્ગોના નેટવર્કથી ગુજરાતના વિકાસને નવી દિશા મળી છે.
આ પરિયોજના અંતર્ગત દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટિવિટી વધારવાનો પણ ઉદ્દેશ છે. સાથોસાથ જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા બંદરો પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાની નેમ રાખવામાં આવી છે.
ગુજરાત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પરિયોજના
જ્યારે ભારત સરકારે 2017માં ભારતમાલા પરિયોજના શરૂ કરી, ત્યારે ગુજરાતને સમગ્ર કાર્યક્રમમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રાજ્યોમાંના એક તરીકે ઓળખવામાં આવ્યું હતું. 1600 કિમીથી વધુનો દરિયાકિનારો, મહત્વપૂર્ણ ઔદ્યોગિક કોરિડોર અને મુન્દ્રા, કંડલા અને હજીરા જેવા બંદરો સાથે, ગુજરાતને એવા હાઈવે નેટવર્કની જરૂર હતી જે રાજ્યની આર્થિક મહત્વાકાંક્ષાઓ સાથે મેળ ખાય.
ભારતમાલા હેઠળ વિકસિત માર્ગ નેટવર્કે આ બંદરોને રાજ્યના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો સાથે વધુ ઝડપી અને કાર્યક્ષમ રીતે જોડ્યા છે. આજે ગુજરાતમાં આ પરિયોજનાના પ્રથમ તબક્કામાં ₹65,000 કરોડના ખર્ચે 1557 કિલોમીટરના 45 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાથી 1068 કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યાધુનિક માળખાગત સુવિધાઓ વિકસિત કરવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી પૂર્ણ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.
આ પરિયોજના અંતર્ગત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી અંદાજે 125 કિ.મી લંબાઇનો માર્ગ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે (6 લેન) તરીકે નિર્માણ કરવામાં આવ્યો છે.
તે સિવાય અમૃતસર-જામનગર વચ્ચે આશરે 1256 કિલોમીટરનો ઇકોનોમીક કોરિડોર પણ નિર્માણ થવાનો છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પણ આ પરિયોજનાના મહત્વપૂર્ણ માર્ગો છે, જે રાજ્યના આર્થિક વિકાસને આગળ ધપાવી રહ્યા છે.
ભારતમાલા પરિયોજનાની સફળતા
માલની ઝડપી હેરફેર: ભારતના સૌથી વ્યસ્ત ફ્રેઈટ કોરિડોરની યાદીમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ભારતમાલા હેઠળ અપગ્રેડ કરાયેલા હાઈવેના લીધે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ઝડપી અને ટ્રાફિકમુક્ત પરિવહન સાથે લોજિસ્ટિક્સના ખર્ચમાં પણ ઘટાડો થયો છે.
બંદરો વચ્ચે મજબૂત કનેક્ટિવિટી: ભારતમાલા પરિયોજના અંતર્ગત દરિયાકાંઠા અને બંદરોને જોડતા રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેના લીધે હાઈવે અને બંદરો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બની છે.
રોજગાર અને સ્થાનિક અર્થતંત્ર: હાઈવે બાંધકામથી આ ક્ષેત્રમા સંકળાયેલા વિવિધ વર્ગના લોકોને નોકરીની તકો મળી છે. સ્થાનિક વ્યવસાયને પણ તેનાથી વેગ મળ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઝડપી જમીન સંપાદન, સમયસર મંજૂરીઓ અને આ પરિયોજનાનું સરળ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) સાથે નજીકથી કામ કરે છે. તેના લીધે ગુજરાતમાં આ પરિયોજના હેઠળ સફળતાપૂર્વક કામગીરી પૂરી કરવામાં આવી છે. ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે, ભારતમાલા પરિયોજના તે વિકાસના લક્ષ્યને ઝડપથી પ્રાપ્ત કરવા માટે એક મજબૂત આધાર આપે છે.
