Western Times News

Gujarati News

તા.૨૬મી-મે ‘પાઇલોટ દિવસ’ પર જીવન રક્ષક ૧૦૮ના પાઇલોટનું સન્‍માન

૧૦૮ સેવાના પાઇલોટ એટલે કટિબધ્‍ધતા, સમર્પણ અને જવાબદારીની ઓળખ

(-આલેખન-વૈશાલી જે. પરમાર) વલસાડઃ  ૧૦૮ ઇમરજન્‍સી સેવા, જી.વી.કે. ઇમરજન્‍સી મેનેજમેન્‍ટ એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી આજે વિશ્વાસ અને સેવાનો પર્યાય બની ગયો છે. તમામ પ્રકારની ઇમરજન્‍સીને પ્રતિસાદ આપવા ૧૦૮ કટીબધ્‍ધ છે. અને સાથે-સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ અભૂતપુર્વ છે. આ સેવા પોલીસ, આગ કે આરોગ્‍ય સંબંધી ઇમરજન્‍સી સેવાઓ ૨૪ કલાક રાજયભરમાં પુરી પાડે છે. આ સેવામાં પાઇલોટ(એમ્‍બ્‍યુલન્‍સના ચાલક) પીડિતને સત્‍વરે ઇમરજન્‍સી સારવારમાં મદદરૂપ થવા માટે મહત્ત્વની કડી છે. ૨૬ મે નો દિવસ ૧૦૮ સેવા અને જી.વી.કે. ઇ.એમઇઆર.આઇ.ના ઇતિહાસમાં ખુબ જ મહત્ત્વનો છે.

૨૬મી મે ‘પાઇલોટ દિવસ’ તરીકે ઉજવાય છે અને આ દિવસે જી.વી.કે. ઇ.એમ.ઇ.આર.આઇ દ્વારા પાઇલોટની નિઃસ્‍વાર્થ સેવા બદલ તેમનું સન્‍માન કરવામાં આવે છે. કોઇપણ કટોકટી સમયે, પ્રત્‍યેક સેકન્‍ડ મુલ્‍યવાન હોય છે. એવા સમયે ઇમરજન્‍સી પ્રતિક્રિયા અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીવન બચાવે છે. એમ્‍બ્‍યુલન્‍સમાં ઉપસ્‍થિત ઇ.એમ.ટીની સાથે-સાથે, પીડિતને સલામતીથી હોસ્‍પિટલ સુધી પહોંચાડવા માટે પાઇલોટની ભૂમિકા મહત્ત્વની છે.

આ ઉપરાંત કટોકટીના સમયે પીડિતને સલામતીથી એવી રીતે પરિવહન કે ખસેડવા કે જેનાથી તેમને કોઇ પણ ઇજા કે હાનિ પહોંચે નહિ. આ સિવાય ઇમરજન્‍સીના સ્‍થળ પર લોકોનાં ટોળાનું ચતુરાઇ ભર્યું નિયંત્રણ કરવું પણ પોઇલેટનું વિશેષ કાર્ય છે. આજના આ અત્‍યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ સુસજ્જ ટેકનોલોજી અને સ્‍માર્ટફોનની મદદથી દર્દીને ખુબ જ ઝડપથી યોગ્‍ય હોસ્‍પિટલ સુધી પહોંચાડે છે. તા.૨૬મી મે નો દિવસ કટોકટી સમયે મહામુલી માનવજીવન બચાવનારા પાયલોટને સર્મપિત છે કે જેઓ મુશ્‍કેલ ભર્યો માર્ગ, પરિસ્‍થિતિ, સમય, વાતાવરણ અને સ્‍થળ પરની કપરી પરિસ્‍થિતિને પહોચી વળવા સક્ષમ અને કટિબધ્‍ધ છે.

સમગ્ર ગુજરાતમાંથી દરેક જિલ્લાના ૧૦૮ ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવાના તમામ પાઇલોટને સૌથી સારી કામગીરી બદલ તથા મહામુલ્‍ય માનવજીવન બચાવવાના નિઃસ્‍વાર્થ કાર્ય બદલ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે શ્રી જશવંત પ્રજાપતિ, ચીફ ઓપરેટીંગ ઓફિસર, જી.વી.કે. ઇ.એમઇઆર.આઇએ જણાવ્‍યું કે, ‘૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સના ચાલકને જી.વી.કે. ઇ.એમઇઆર.આઇ એ ‘પાઇલોટ’ નું બિરૂદ આપેલ છે કે જે માત્ર એમ્‍બ્‍યુલન્‍સ ચલાવતો નથી પરંતું સાથે-સાથે ઉચ્‍ચ કોટીની કટીબધ્‍ધતા, સમર્પણની ભાવના અને અનોખી જવાબદારી અદા કરે છે. તેઓ સત્‍વરે અને સલામતીથી ઇમરજન્‍સી ઘટના સ્‍થળ પર પહોંચીને જીવન અને મૃત્‍યુના અંતર વચ્‍ચે સેતુ બને છે. તેઓ મહામુલ્‍યવાન જીવન બચાવવા માટે ઇ.એમ.ટી.ને પણ મદદરૂપ થાય છે. અને ઇ.એમ.ટી ને પડતી અડચણો પણ દુર કરે છે. અમુલ્‍ય જીવન બચાવતાં તેઓને અનહદ સંતોષ મળે છે. જે તેમને વધુ સારી કામગીરી કરવા ઉત્‍સાહ પુરો પાડે છે. આપણે સૌ આવી વ્‍યકિતઓ કે જે કટોકટીના સમયે મદદ પુરી પાડવાની પ્રશંસનીય કામગીરી કરે છે, તેમનો સાચા હૃદયથી આભાર માનવો જોઇએ.

અત્રે ઉલ્લેખનિય છે કે, જી.વી.કે. ઇ.એમ.ઇ.આર.આઇ. રાજયના તમામ જિલ્લાને આવરી લઇ ૬૨૨ જેટલી અત્‍યાધુનિક એમ્‍બ્‍યુલન્‍સના કાફલા સાથે કાર્યરત છે. અત્‍યાર સુધી ૧,૧૧,૯૯,૭૨૭ કરતા પણ વધુ ઇમરજન્‍સીને પ્રતિસાદ આપી ચુકી છે. અને જીવલેણ પરિસ્‍થિતિમાં ૯,૫૨,૭૭૫ કરતાં પણ વધુના જીવ બચાવ્‍યા છે.

હાલમાં પ્રસારિત કોરોના વાઇરસ રોગની મહામારીને પહોંચી વળવા માટે ૧૦૮ ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવા દ્વારા ૯૮ એમ્‍બ્‍યુલન્‍સ ફાળવવામાં આવી છે. આ એમ્‍બ્‍યુલન્‍સમાં કાર્યરત પાઇલોટ અને ઇએમટી દ્વારા ૨૨,૨૩૬ જેટલા કોરોના વાઇરસ રોગ સંબંધિત લક્ષણ ધરાવતા દર્દીઓને સલામત રીતે હોસ્‍પિટલ સુધી પહોંચાડવામાં આવ્‍યા છે. -૦૦૦-


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.