Western Times News

Gujarati News

કોવીડ વાયરસના સંક્રમણને અટકાવવા અમદાવાદના યુવાને વિકસાવી ટૅકનૉલોજી

ઘરગથ્થુ વપરાશી વસ્તુઓ માત્ર 45 સેકન્ડમાં જંતુરહિત બનશે. જાહેર સ્થળોએ કન્વેયર બેલ્ટમાં મુકાતી ચીજવસ્તુઓ જંતુમુક્ત બનશે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ એન્ટરપ્રિન્યોર કાઉન્સિલ(GUSEC) અને યુનિસેફનો મળ્યો સહયોગ

અમદાવાદ,  સમગ્ર વિશ્વમાં કોવીડ મહામારીને નાથવા માટે સંશોધકો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના આદિત્ય અને દિલ્હીના યશે એક એવું સાધન વિકસાવ્યું છે કે જેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી વાયરસનું સંક્રમણ વધતું અટકાવી શકાય છે. ખાસ કરીને કોઈ પદાર્થની સપાટી પરથી ફેલાતું સંક્રમણ અટકાવવા આ સાધન મહત્વનું ચે. મહત્વની વાત એ છે કે આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા બે યુવા સંશોધનકારોએ બે પ્રોડક્ટ વિકસાવી છે. અલ્ટ્રાલુપ (ઓ) એટલે કે અલ્ટ્રાલુપ ઓવન. જેના દ્વારા શાકભાજી, કરિયાણુ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને વાસણો માત્ર 45 સેકન્ડમાં જંતુમુક્ત થાય છે. અને અલ્ટ્રાલુપ (એક્સ). જેનો ઉપયોગ જાહેર સ્થળોએ કન્વેયર બેલ્ટમાં મુકાતી ચીજ-વસ્તુઓને જંતુમુક્ત કરવા માટે થઈ શકે છે. આદિત્ય અને યશે એપ્રિલ મહિનામાં તેમના અને અલ્ટ્રાલુપ (GUSEC) બ્રેકથ્રુ એક્સલરેટર કાર્યક્રમ હેઠળ તેની નોંધણી કરાવી છે. જે તે સમયે તેની પ્રોટોટાઈપ બનાવી ન હતી, પણ તેમણે માત્ર પંદર દિવસમાં જ પ્રોટોટાઈપ બનાવી નાખી છે.

આ સંશોધનના વિચારબીજ અંગે વાત કરતાં આદિત્ય કહે છે કે,’’ જ્યારે તે અમેરિકાથી ભારત પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને આ વિચાર આવ્યો હતો. તેને લાગ્યું કે સંક્રમણને અટકાવવા માટે ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કરવાની જરુર છે. આ ગડમથલમાંથી આ વિચાર જન્મ્યો.’’ એમ તે ઉમેરે છે. આદિત્ય તેમના આ સંશોધનમાં ઉભા થયેલા પડકારો અંગે કહે છે કે, ‘’ જ્યારે ભારતમાં લોકડાઉનનો અમલ ચાલુ હતો ત્યારે જરુરી સાધનો ન મળવાના કારણે પ્રોટોટાઈપ બનાવવાનું કામ મુશ્કેલ હતું, પરંતુ સતત મહેનતના કારણે આ કામ માત્ર પંદર દિવસમાં શક્ય બન્યું અને ત્યારબાદ તેને ISO, CISR-CISO અને CFના પ્રમાણપત્રો મળી ચૂક્યા છે.

અલ્ટ્રાલુપ ઓવનની જેમ અલ્ટ્રાલુપ (એક્સ) એ તેમનું બીજું સંશોધન છે, જેનો ઉપયોગ જાહેર સ્થળોએ થઈ શકે છે. જેમ કે, એરપોર્ટ, રેલવે સ્ટેશન વગેરે. જાહેર સ્થળોએ વપરાતા કન્વેયર બેલ્ટમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આ યુવાનોને તેમનો આ વિચાર અમલી બનાવવામાં ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ એન્ટરપ્રિન્યોર કાઉન્સિલ(GUJSEC)માંથી આ અંગે જરુરી તકનીકી માર્ગદર્શન અને માળખાગત સુવિધાઓની ઉપ્લબ્ધિઓને કારણે આ વિચારને વાસ્તવમાં અમલમાં મુકવાનું શક્ય બન્યું.

આ વિચારને અમલમાં મુકતા પહેલા તેમણે ઘણું સંશોધન કર્યું હતું. તેમાં તેમને જાણવા મળ્યું કે વર્ષ -2003માં સિવિયર એક્યૂટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ(SARS) વાયરસને નિયંત્રિત કરવામાં અને તાજેતરમાં ફેલાયેલા કોવીડ વાયરસને નિયંત્રિત કરવા માટે ચાઈનાએ તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. આ બંને પ્રોડક્ટને બજારમાં મુકવા માટે ક્રાઉડ ફંડિંગ કેમ્પેઈનની મદદ લઈને સમાજમાં સસ્તા દરે સારી ટેકનોલોજીયુક્ત આ પ્રોડક્ટ લોકભોગ્ય બને તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમના આ સંશોધન અંગે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ એન્ટરપ્રિન્યોર કાઉન્સિલ (GUJSEC)ના સી.ઈ.ઓ રાહુલ ભાગચંદાની કહે છે કે, ‘’કોરોનાના સંક્રમણના કારણે એક પડકાર ઉભો થયો છે, તેની સામે તક પણ ઉભી થઈ છે. આ તકને યુવા સંશોધનકારોએ પરિણામલક્ષી બનાવતા બંને સંશોધનો શક્ય બન્યા છે.’’ ઉલ્લેખનીય છે કે GUJSEC દ્વારા આવા નવીન અને નૂતન આવિષ્કારો માટે યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.