Western Times News

Gujarati News

ગરબા ક્વીન દયાભાભી નવરાત્રીમાં કમબેક કરશે ?

મુંબઈ: ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના હાલમાં જ ૩ હજાર એપિસોડ પૂરા થયા છે. શોના કલાકારોએ ધામધૂમથી આ સફળતાની ઉજવણી કરી હતી. જો કે, કલાકારો અને દર્શકોને આ શોના એક મહત્વના પાત્રની ખોટ વર્તાઈ રહી છે અને એ છે દયાભાભી. સીરિયલમાં દયા ગડાનો રોલ કરતી એક્ટ્રેસ દિશા વાકાણીએ ત્રણ વર્ષ પહેલા મેટરનિટી લીવ લીધી હતી. આ દરમિયાન તેના પરત આવવાની કેટલીય વખત ચર્ચા થતી રહી પરંતુ છેલ્લા સમયે તેનું કમબેક અટકી જતું હતું.

જો કે, હવે શોના મેકર્સને દિશા વાકાણીને પરત લાવવાની તૈયારીઓ કરી દીધી છે. નવરાત્રી સુધીમાં ‘ગરબા ક્વીન’ દયાભાભીની એન્ટ્રી ‘તારક મહેતામાં થઈ શકે છે. પિંકવિલાને સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, દિશા વાકાણી સાથે તેના કમબેકને લઈને ચર્ચા ચાલી રહી છે. જો કે, તેના પરિવાર તરફથી કરવામાં આવી રહેલી માગ અડચણ બની રહી છે.

પરંતુ હવે શોના મેકર્સ દયાબેનને લાવવાની પૂરતી તૈયારી કરી દીધી છે પછી ભલે દિશા વાકાણીના માને. શોના મેકર્સ હવે દર્શકોને તેમના મનપંસદ પાત્રથી વધુ સમય દૂર રાખવા નથી માગતા. દયાબેનની વાપસી માટે નવરાત્રીથી વધુ સારો તહેવાર કયો હોઈ શકે?

રિપોર્ટ પ્રમાણે, નવરાત્રી સુધીમાં દયાબેનને લાવવાનો મેળ નહીં પડે તો મોડામાં મોડું દિવાળી સુધીમાં તો તેનું કમબેક થશે જ. જણાવી દઈએ કે, ત્રણ વર્ષ પહેલા દિશા વાકાણીએ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા વાકાણીએ મેટરનીટી લીવ પર ગયા પછી દીકરીની સારસંભાળ માટે શોના મેકર્સ પાસેથી સમય માગ્યો હતો. બાદમાં દિશાની દીકરી થોડી મોટી થઈ પછી તેણે મેકર્સ સામે થોડા જ કલાકો કામ કરવાની શરત મૂકી હતી પરંતુ તેઓ તેને ફુલટાઈમ બોલાવા માગતા હતા.

ગયા વર્ષે મેકર્સે દિશાની શરતો માની હતી અને શૂટિંગ માટે તૈયાર થયા હતા પરંતુ તેના પરિવાર તરફથી અન્ય કેટલીક માગ કરતા વાત અટકી પડી હતી. અગાઉ એવી પણ ચર્ચા હતી કે દિશા વાકાણીના સ્થાને દયાના રોલ માટે કોઈ બીજી અભિનેત્રીને લેવામાં આવશે. જો કે, પછી દિશા એક એપિસોડમાં થોડી મિનિટો માટે દેખાઈ હતી. ત્યારે હવે ફરી દિશાના કમબેકની ચર્ચા ઉઠી ત્યારે જોવું રહ્યું કે, શોમાં દયાભાભીની એન્ટ્રી ક્યારે થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.