Western Times News

Gujarati News

બીબીપુર ખાતે  રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ ગ્રાઉન્ડના ઈ-લોકાર્પણ

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે અમદાવાદ જિલ્લાના બીબીપુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ ગ્રાઉન્ડના ઈ- લોકાર્પણ પ્રસંગે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનુ આજે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રી જાડેજા જણાવ્યું કે,જીવનમાં રમતનું આગવું મહત્વ છે.અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રમત-ગમતના ઘણાં સ્પોર્ટ્સ સંકુલો છે. પૂર્વ અમદાવાદમાં પણ તેવા જ સ્પોર્ટ્સ સંકુલો ઉભા થાય એની જરૂરિયાતને ધ્યાનમાં લઇ ૧૫ વીઘા જમીનમાં ઇન્દોર હોલ તથા ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, વસ્ત્રાલ, રામોલ, વટવા વિસ્તારમાં તળાવ, પાણી, ગટર વ્યવસ્થા સાથે સારી હોસ્પિટલ, સારી આરોગ્ય સેવા ઉભી કરવામાં આવી છે. આગામી સમયમાં વસ્ત્રાલ ખાતે રૂ. ૪૦ કરોડના ખર્ચે નિર્મિત થઇ રહેલ સ્પોર્ટ્સ સંકુલને પણ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

મંત્રીશ્રીએ સ્વામી વિવેકાનંદના કથનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સ્વામી વિવેકાનંદ યુવાનોને વર્ગખંડ જેટલો કે તેનાથી વધુ સમય રમત-ગમતના મેદાનમાં પસાર કરવા માટે કહેતા હતાં તેની પાછળનો હેતુ સારું શરીર અને તેના દ્વારા સારા વિચારોનો પ્રાદુર્ભાવ થાય તે રહેલો હતો.

આગામી સમયમાં સિંગરવા ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે હોસ્પિટલનું આધુનિકીકરણ કરવામાં આવનાર છે તેમ જણાવી તેમણે એક સમયે  જ્યાં કચરાના ઢગલા હતાં ત્યાં ‘જડેશ્વર વન’ બનાવી આપણે વત્રાલને નંદનવન બનાવ્યું છે.

જે રીતે મેટ્રોનું પ્રથમ સ્ટેશન ‘વસ્ત્રાલ’ તરીકે ઓળખાય છે તે જ રીતે હવે પછી બીબીપુર ગામ ‘રમત-ગમતના સંકુલ’થી ગુજરાતમાં જાણીતું બનશે તેમ જણાવી તેમણે જીવનમાં કસરત, મેદાની રમતો તથા શરીર સૌષ્ઠવનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી એચ.એસ.પટેલ એ તંદુરસ્ત શરીરની અંદર જ તંદુરસ્ત મન બિરાજે છે તેમ જણાવી જણાવ્યું કે, જીવનમાં ખેલકૂદનું ખૂબ મહત્વ રહેલું છે.

શહેરીકરણ વધતા જીવનમાં વ્યાયામનું પ્રમાણ ઘટ્યું છે ત્યારે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી શરીર સૌષ્ઠવ બનાવવા અહી વિકસિત કરવામાં આવેલ સુવિધા ઉપયોગી બની રહેશે. તેમને કહ્યું કે, સ્પોર્ટ્સથી નેતૃત્વના ગુણો વિકસે છે, જે વ્યક્તિગત સાથે જાહેર જીવનમાં ઉપયોગી બને છે.

ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલે જણાવ્યું કે, જીવનમાં ખેલકૂદ ખૂબ અગત્યના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખેલકૂદની ખૂબ મહત્ત્વ આપતા હતા. તેથી તેમણે ગુજરાતમાં રમત-ગમતને એક અભિયાન તરીકે ચલાવી ‘ખેલ મહાકુંભ’ની શરૂઆત કરી હતી. જેના કારણે આપણને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પ્રાપ્ત થયા છે.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ, પરશુરામ મહારાજ, બીબીપુર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.