વડોદરાઃ પથ્થરમારો, આગચંપી અને વાહનોમાં કરાઇ તોડફોડ

વડોદરા, શહેરમાં દિવાળીની રાતે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આંગચંપી અને તોડફોડના બનાવ બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. નજીવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ સ્થિતિ વણસી હતી. તોફાની તત્વોએ પોલીસની ટીમ પર પણ પેટ્રોલબંબ ફેંક્યા હતા. જે બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વણસેલી સ્થિતિને કાબૂમાં લઇ લીધી હતી.
હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ કરી રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના પાણીગેટ હરણખાના રોડ વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ વણસેલી સ્થિતિને કારણે વાહનોમાં તોડફોડની સાથે આગ પણ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત અસામાજીક તત્વો દ્વારા પોલીસના કાફલા પર પણ પેટ્રોલ બોમ ફેંક્યો હતો.
આ સાથે વિસ્તારની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પથ્થરમારોને કારણે આ વિસ્તારના રોડ પર પથ્થરો જ પથ્થરો દેખાતા હતા. જાેકે, આ અંગેની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. જેમા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. એસીપીના કાફલા પર પણ તોફાનીઓએ પેટ્રોલ બોમ ફેંકાયો હતો.
હાલ આ મામલાની તપાસ હાથ ધરાઈ છે. પેટ્રેલ બોમ્બ કોણે બનાવ્યા અને ક્યાંથી આવ્યા તે અંગે લોકોના ઘરની તપાસ પણ થઇ રહી છે. વડોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે, હાલમાં સ્થિતિ કાબુમાં છે. પથ્થરમારો શા કારણે થયો છે એ અંગે સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છીએ.
જે પ્રત્યક્ષદર્શી છે એની પાસેથી માહિતી લઈ રહ્યા છીએ. આગળના દિવસોમાં સખતમાં સખત કામગીરી કરવામાં આવશે. સ્ટ્રીટ લાઈટ બંધ કરીને પથ્થરમારો કરાયો છે કે કેમ એ અંગે તપાસ ચાલુ છે. જે ઘરમાંથી પેટ્રોલબોંબ ફેંકાયો એ ઘરમાંથી પણ તપાસ કરવામાં આવી છે. એ ઘરમાંથી એક વ્યક્તિ મળી છે એની અટકાયત કરવામાં આવી છે.SS1MS