બીજી લહેરમાં અવસાન પામનાર બે પોલીસકર્મીઓના કુંટુંબીજનોને ૨૫ લાખની સહાય અપાઇ
જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે બંને પોલીસકર્મીઓના કુંટુંબીજનોને સહાયનો ચેક આપ્યો
દાહોદ: કોરોનાની બીજી લહેરમાં પોલીસકર્મીઓએ સતત ખડેપગે ફરજ બજાવી હતી. આ દરમિયાન કોરોના સંક્રમિત થઇને મૃત્યુ પામનારા બે પોલીસકર્મીઓના પરિવારજનોને તાત્કાલિક રાજય સરકારે ૨૫-૨૫ લાખની સહાય પહોંચતી કરી છે. જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે અત્રેની એસપી ઓફિસ ખાતે બંને પોલીસકર્મીઓના પરિવારજનોને રૂબરૂ સહાય માટેનો ચેક આપ્યો હતો.
કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારા વિક્રમસિંહ બળવંતસિંહ બારીઆ જેઓ રણધીરપુર પોલીસ સ્ટેશન ખાતે આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમની ઉંમર ૪૨ વર્ષ હતી અને તેઓ વર્ષ ૧૯૯૮ માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. કોરોના સંક્રમણ બાદ તેમને સીંગવડ ખાતેની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જયાં ગત તા. ૨૬ એપ્રીલના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના પત્ની પાર્વતીબેનને સહાયનો ચેક જિલ્લા પોલીસ વડાશ્રીએ આપ્યો હતો.
કોરોનાથી અવસાન પામનારા હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ રૂમાલસિંહ પટેલિયા સાગટાળા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ ૧૯૯૭માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. કોરોના થયા બાદ તેમને વડોદરા ખાતેની પ્રાણાયામ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા ૫૧ વર્ષની ઉંમરે તેઓ તેમના ત્રણ પુત્રો અને એક પુત્રીને વિલાપ કરતા મુકી ગયા હતા. તેમના પત્ની રમીલાબેનને એસપી શ્રી જોયસરે સહાયનો ચેક આપ્યો હતો.