સ્થિતિ વણસે નહીં તે માટે દેશ છોડીને ભાગ્યો: ગની
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/Ashraf-Gani.jpg)
કાબુલ, અફઘાનિસ્તાનની સરકારી તિજાેરીમાંથી ૧૨ અબજ રુપિયા લઈને ફરાર થવાના આરોપમાં રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. અફઘાનિસ્તાનથી ભાગીને યુએઈ પહોંચેલા અશરફ ગનીએ બુધવારના રોજ એક વીડિયો મેસેજ શેર કરીને જણાવ્યું કે, કાબુલને તાલિબાને ઘેરી લીધું છે અને તે સ્થિતિ વણસે નહીં તે માટે દેશ છોડીને ભાગી ગયા છે. અશરફ ગનીએ કહ્યું કે, તેમણે કાબુલ છોડવામાં એટલી ઉતાવળ કરવી પડી કે તેમને સેન્ડલ ઉતારીને જૂતા પહેરવાનો પણ સમય નહોતો મળ્યો.
અશરફ ગનીએ કહ્યું કે, મેં માત્ર એક વેસ્ટકોટ અને થોડા કપડા સાથે લીધા છે. મારી ઈમેજ ખરાબ કરવા માટે આ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે હું પૈસા લઈને ભાગ્યો છું. આ આરોપ પાયાવિહોણા છે. તમે કસ્ટમ વિભાગના અધિકારીઓને પૂછી શકો છો. હું સેન્ડલ ઉતારીને જૂતા પણ નહોતી પહેરી શક્યો.
અત્યારે યુએઈમાં સ્થિત અશરફ ગનીએ જણાવ્યું કે, જાે હું ત્યાં રોકાયો હોત તો કાબુલમાં લોહિયાળ હિંસા થઈ શકતી હતી. મેં સરકારી અધિકારીઓની સલાહ પર અફઘાનિસ્તાન છોડ્યું. કાબુલને સત્તાના સંઘર્ષમાં યમન અથવા સીરિયા બનાવવા નહોતો માગતો, માટે હું દેશ છોડવા માટે મજબૂર થયો. ઉલ્લેખનીય છે કે તઝાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂત મોહમ્મદ ઝહીરે રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની પર સરકારી તિજાેરીમાંથી ૧૬.૯ કરોડ ડોલરની ચોરીનો આરોપ મુક્યો હતો અને આંતર્રાષ્ટ્રીય પોલીસને તેમની ધરપકડની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ તાલિબાન કાબુલ પાસે પહોંચ્યું તો અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યા. બુધવાર સુધી તેઓ ક્યાં છે તેની કોઈ જાણકારી નહોતી. ત્યારપછી યુએઈ દ્વારા કહેવામાં આવ્યું કે, માનવતાના ધોરણે તેમણે અશરફ ગની અને તેમના પરિવારને ત્યાં રહેવાની મંજૂરી આપી છે.SSS