કોર્ટે ખેડૂતોને કહ્યું- તમે આખા શહેરને પરેશાન કરી નાખ્યું છે
નવીદિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં જંતર-મંતર પર પ્રદર્શનની માંગણી કરતા ખેડૂત સંગઠનોની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે, તમે આખા દિલ્હી શહેરને પરેશાન કરી દીધું છે. હાઈ-વે જામ કરી દીધો છે.
સંગઠને કહ્યું કે, જંતર-મંતર પર શાંતિપૂર્ણ અને અહિંસક વિરોધ પ્રદર્શન કરવા માટે ૨૦૦ ખેડૂતોને ભેગા થવાની મંજૂરી આપવામાં આવે. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે, આખા શહેરનો શ્વાર રૂંધ્યા પછી હવે તમે શહેરની અંદર જવા માંગો છો? અહીં રહેતા નાગરિકો શું આ વિરોધ-પ્રદર્શનથી ખુશ છે? આ પ્રવૃતિઓ અટકવી જાેઈએ.
જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતા વાળી બેન્ચે કહ્યું કે, કોઈ કાયદાને કોર્ટમાં પડકાર આપ્યા પછી કોર્ટ પર વિશ્વાસ રાખવો જાેઈએ. તમને વિરોધ-પ્રદર્શનનો અધિકાર છે, પરંતુ નેશનલ હાઈવે બ્લોક કરીને સામાન્ય લોકોને મુશ્કેલીમાં ના મૂકી શકાય.આ મુદ્દે સુપ્રીમકોર્ટે ગુરુવારે પણ કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓ રોજ હાઈવે કેવી રીતે બ્લોક કરી શકે? અધિકારીઓની ડ્યૂટી છે કે, તેઓ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી વ્યવસ્થાને લાગુ કરે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને તે વાતની મંજૂરી આપી દીધી છે કે, તેઓ ખેડૂત સંગઠનોને આ મુદ્દે પક્ષકાર બનાવે.
કોર્ટે કહ્યું છે કે, જે પણ સમસ્યા છે તેનું સમાધાન જ્યુડિશિયલ ફોરમ અથવા સંસદીય ચર્ચાથી કાઢી શકાય છે. નોંધનીય છે કે, નોઈડાની એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી જાખલ કરીને કહ્યું કે, દિલ્હી બોર્ડર બ્લોક કરવાથી નોઈડાથી દિલ્હી પહોંચવામાં ૨૦ મિનિટની જગ્યાએ ૨ કલાક લાગે છે અને ત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જવાય છે.સુપ્રીમ કોર્ટે ઓગસ્ટમાં સરકારને સમાધાન કાઢવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ૨૩ ઓગસ્ટે કહ્યું હતું કે, ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર છે. પરંતુ રસ્તાઓ અનિશ્ચિત સમય માટે બંધ ના કરી શકાય. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું હતું. કોર્ટે સરકારેને કહ્યું હતું કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો જે પ્રદર્શન કરી રહ્યા છે તેનાથી દેશના પાટનગરમાં લોકોને ટ્રાન્સપોર્ટમાં મુશ્કેલી થઈ રહી છે તેનો ઉકેલ લાવો.HS