કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્યુટી કરનારને જ્યુટના પગરખાં અપાયા
નવી દિલ્હી, શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ડ્યુટી કરનારાઓ હવે જ્યુટ એટલે કે, શણના પગરખાં પહેરીને ડ્યુટી કરશે. વધી રહેલી ઠંડીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ડ્યુટી કરનારાઓને રવિવારે પગરખાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર મંદિરમાં આ પ્રકારની પહેલ કરવામાં આવી છે.
વડાપ્રધાનને જાણવા મળ્યું હતું કે, ઠંડીમાં પણ સીઆરપીએફના જવાનો, પોલીસ, પુજારી, સેવાદાર અને સફાઈકર્મીઓ ઉઘાડા પગે ડ્યુટી કરે છે. વડાપ્રધાન મોદીના નિર્દેશ બાદ તમામ કર્મચારીઓ માટે જ્યુટના ૧૦૦ પગરખાં મોકલવામાં આવ્યા હતા. વિભાગીય કમિશનર દીપક અગ્રવાલે રવિવારે મંદિરમાં કામ કરી રહેલા શાસ્ત્રી, પુજારી, સીઆરપીએફના જવાનો, પોલીસકર્મી, સેવાદાર અને સફાઈકર્મીઓને પગરખાંનું વિતરણ કર્યું હતું.
આ સાથે જ તેમણે હજું વધારે પગરખાં આવશે જેનું ફરજ પરના કર્મચારીઓમાં વિતરણ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. કાશી વિશ્વનાથ મંદિરના કર્મચારીઓને ઠંડીમાં ઉઘાડા પગે કામ કરવાના કારણે જે મુશ્કેલીઓ પડી રહી હતી તેમાં હવે ઘણી હદ સુધી રાહત મળશે. કાશી વિશ્વનાથ ધામ પરિસરની અંદર આ પગરખાંઓનો ઉપયોગ કરવામાં આવશે.
મંદિર પરિસરમાં ચામડા કે રબર વડે બનેલા જૂતા-ચંપલ પ્રતિબંધિત છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચાખડી (લાકડાંના પગરખાં) પહેરીને કામ કરવું સૌ માટે શક્ય નથી. આ પરેશાનીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ કર્મચારીઓને આ પ્રકારના જ્યુટના પગરખાં મોકલ્યા છે.SSS