વિધાનસભામાં એક વર્ષ માટે સસ્પેન્શન એ સદનમાંથી હકાલપટ્ટી કરતાં પણ ખરાબ: સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિધાનસભામાંથી એક વર્ષ માટે સસ્પેન્શન, હકાલપટ્ટી કરતાં પણ ખરાબ કહેવાય. કારણ કે તેના પરિણામ અત્યંત ભયાનક છે તથા તેનાથી કોઇ મતવિસ્તારનું સદનમાં પ્રતિનિધિત્વ જાળવી રાખવાનો અધિકાર પ્રભાવિત થાય છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની પીઠાસીન અધિકારીના કથિત દુર્વ્યવહારને લઇને સદનમાંથી એક વર્ષ માટે પોતાના સસ્પેન્શનને પડકારનાર ભારતીય જનતા પાર્ટીના ૧૨ ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઇ બેઠકને ૬ મહિનામાં ભરવાનું બંધારણીય દાયિત્વ છે.
ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે તમે મત વિસ્તાર માટે બંધારણીય શૂન્ય, ખાલી પડવાની સ્થિતિ સર્જી ન શકો. પછી ભલે ને તે એક મતવિસ્તાર હોય કે ૧૨ મતવિસ્તાર હોય..દરેક મતવિસ્તારને સદનમાં પ્રતિનિધિત્વ કરવાનો સમાન અધિકાર છે.
બેન્ચે કહ્યુંકે સદનને એક સભ્યને સસ્પેન્ડ કરવાની શક્તિ છે પરંતુ ૫૯ દિવસથી વધારે નહીં.બેન્ચના સભ્યોમાં ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરી અને ન્યાયમૂર્તિ સી.ટી. રવિકુમાર પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીઓમાં એકમાં અરજદારો તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ સિદ્ઘાર્થ ભટનાગરે એ દલીલ આપી છે કે આ સસ્પેન્શન હકાલપટ્ટીથી પણ ખરાબ છે. બેન્ચે કહ્યું કે આ સજા આપવા સમાન છે અને તેનાથી સભ્યને સજા નથી મળી રહી પરંતુ સમગ્ર મતવિસ્તારને દંડિત કરવામાં આવી રહ્યો છે.બેન્ચે કહ્યું કે, અમે શ્રીમાન ભટનાગરની એ દલીલ સ્વીકારીશું કે આ ર્નિણય હકાલપટ્ટીથી પણ ખરાબ છે.HS