AEC પાસે ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન હવે હલ થશે

(એજન્સી) અમદાવાદ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં ૧૩ર’ ફુટ રીંગ રોડ પર હેલ્મેટ ચારરસ્તા-જંકશનથી એઈસી ચાર રસ્તા સુધીના રોડ ઉપર ચોમાસા દરમ્યાન ભરાઈ જતાં વરસાદી પાણીના નિકાલ માટેે નજીકના તળાવ સુધી ૬૦ લાખના ખર્ચે આરસીસી ડક્ટ બનાવવાની કામગીરી મ્યુનિસિપલે હાથ ધરી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન ૧૦૦થી વધુ રોડ ઉપર પાણી ભરાઈ રહેતા હોવાથી ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓથી વાહનચાલકો હેરાનપરેશાન થઈ જાય છે તમાં પણ ૧૩ર ફૂટ રીંગ રોડ પર હેલ્મેટ સર્કલથી એઈસી ચારરસ્તા સુધી પણ ઘુૃટણ સુધીના પાણી ભરાવાથી ભારે હેરાનગતિ ઉભી થાય છે.
આ વિસ્તાર ઉત્તર પશ્ચિમ ઝોનની બોડકદેવ વોર્ડમાં તથા પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં આવતી હોઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલ સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાની ફરીયાદ થઈ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી એ મ્યુનિસિપલ સત્તાધીશોને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જેના પગલે મ્યુનિસિપલ ઇજનેર ખાતાએ આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થતી સ્ટોર્મ વૉટર લાઈનની સાથે સાથે મેમનગર વિસ્તારના વિશાળ તળાવમાં કરવાની યોજના બનાવી હતી.
જેમાં એઈસી ચાર રસ્તાથી આરસીસી ડક્ટ લાઈન બનાવીને તેને મેમનગરના આરએમએસ તળાવ સુધી પહોંચાડીને વરસાદી પાણીનો સરળતાથી નિકાલ કરવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો. અને લગભગ ૬૦ લાખના ખર્ચે ડક્ટ લાઈન બનાવવાની કામગીરીનો પ્રારંભ સ્થાનિક કોર્પોરેેટર દેવાંગભાઈ દાણી તથા અન્ય કાર્યકરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.