ડ્રેનેજ લાઈનના કામમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચારની તપાસની કોંગ્રેસની માંગણી

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનના કામમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચાર બાબત શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર ને લેખિતમાં રજૂઆત કરી છે પાલિકા દ્વારા દર મહિને લાખ જેટલો ખોટો ખર્ચ થતો હોવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો છે આ કરેલ રજૂઆતમાં એવો આક્ષેપ કર્યો છે કે
નડિયાદ નગરપાલિકા દ્વારા થોડાંક સમય પહેલા નડિયાદ – કપડવંજ રોડ પર લાખ્ખો રૂપિયાની માતબર રકમના (નિરર્થક) ખર્ચે ગંદા પાણીના નિકાલ માટે કોર્ટની સામેના ભાગથી બિલોદરા ચોકડી સુધી ગટર લાઇન નાંખવામાં આવેલ છે. પરંતુ ગટર વ્યવસ્થાની અયોગ્ય રચના અને પૂરતા નિરીક્ષણના અભાવે તથા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના કારણે ગટર લાઇનની કામગીરી યોગ્ય રીતે નહી થતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ થતો નહી
હોવાથી નગરપાલિકાને ગંદા પાણીની સમસ્યાના નિવારણ માટે સમારકામ કરાવવાની ફરજ પડી હતી. પરંતુ જાણવા મળ્યા મુજબ મળતીયા કોન્ટ્રાકટર મારફત સમારકામ કરાવવામાં આવતા અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવેલ હોવાથી સમારકામ પણ યોગ્ય નહીં થતાં સમસ્યા હલ થયેલ નહીં. તેથી નગરપાલિકાએ નવેસરથી જ્યાં ગટર લાઈન ચોકઅપ થાય છે ત્યાં ગંદુ પાણી ખેંચવા એક ઈલે. મોટર ઉતારાવેલ છે
અને આ ઈલે. મોટર ચલાવવા માટે જનરેટરની વ્યવસ્થા કરેલ છે અને ચોકઅપ થઈ ગયેલી ગટર લાઇનની જગ્યાએ ઈલે. મોટર સાથે પાઇપ જોડી ચોકઅપ થઈ ગયેલ જગ્યાએથી અંદાજે માત્ર પચાસ મીટર દૂર પેટ્રોલ પમ્પ પાસે ગંદા પાણીના નિકાલ માટે એક અંદાજ મુજબ માત્ર પચાસ – સાઈઠ હજાર રૂપિયાના ખર્ચના બદલે નગરપાલિકા દ્વારા માસિક રૂપિયા ૨.૫૦ લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ભાગબટાઈથી તેનો કોન્ટ્રાક્ટ પણ મળતીયા કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો છે.