ભરૂચની ક્ષય કચેરીમાં વનીયર પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓમાં દોડધામ

જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે છોડ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા ક્ષય કેન્દ્રમાં વનિયર પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓ નાસભાગ મચી હતી.જેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવતા ટીમ સાથે તાત્કાલિક દોડી આવી વનીયરનું રેસ્કયુ કરી પાંજરે પૂરવામાં આવ્યું હતું.
જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે અનેક સ્થળોએ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં ઘુસી આવવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે ગતરોજ ભરૂચ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા ક્ષય કેન્દ્રમાં વનિયર પ્રાણી ઘૂસી આવ્યું હતું.જેથી અંદર રહેલા કર્મચારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.આ ઘટનાની જાણ કર્મચારીઓએ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા
અને ભારે જહેમત બાદ રેસ્કયુ કરીને તેને પાંજરામાં પુરવામાં આવ્યું હતું.જેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. શિડ્યુલ -૧ માં આવતું આ વન્ય પ્રાણી લુપ્ત થવાનાં આરે છે.ત્યારે ૧૯૭૨ ના કાયદા મુજબ સરકારે આવા પ્રાણીને કેદ કરવું,હેરાન કરવું, મોત નિપજાવવું જેવા ગુનામાં ૩૫ હજારથી લઈ ૧લાખ રૂપિયા સુધીના દંડ અને ૭ વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ કરી છે. મોડી રાત્રે શિકારની શોધમાં નીકળતું વનીયર ખુદના બચાવ માટે પોતાના શરીર માંથી દુર્ગંધ છોડે છે.