ઝઘડિયાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્રારા છઠ્ઠો સમુહ લગ્નોત્સવ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/2705-bharuch-1024x768.jpg)
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સમાજ માંથી કુરિવાજો,ખોટા ખર્ચા દુર કરવાના શુભ આશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરકે સમાજના મોભીઓ પોતાનો સમાજ વ્યર્થ ખર્ચાઓથી દુર રહે એ માટે સમુહ લગ્નોત્સવ કાર્યક્રમો આયોજિત કરતા હોય છે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્રારા છઠ્ઠો સમુહ લગ્નત્સવ યોજાયો હતો.જેમાં ૧૭ યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફ થી કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ નાઅત શરીફ રજુ કરવામાં આવી હતી.કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થીત શયખુલ અસફીયા મોઈનુલ અવલિયા ખ્વાજએ ખ્વાજગાન હઝરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રુખ ચિસ્તી અને તેમના સાહબજાદા ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના પ્રમુખ વાલીએ અહદ હઝરત ખ્વાજા મોઈનુલ હસન ચિસ્તી ઉપસ્થિત રહ્યા હતા.
સમુહ લગ્નનુ મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યુ હતું કે લગ્નમાં થતા કુરીવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમુહ લગ્નના માધ્યમથી નિવારી શકાય એમ છે.ત્યાર બાદ હઝરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રુખ ચિસ્તી અને તેમના સાહબજાદા વાલીએ અહદ હઝરત ખ્વાજા મોઈનુલ હસન ચિસ્તીના નેતૃત્વ હેઠળ આયોજીત સમુહ લગ્નમાં ઈસ્લામીક રીત રીવાજ પ્રમાણે યુગલોને નિકાહ પઠાવવામા આવ્યા હતા.
ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ તરસાલી દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરીયાતની ૭૫ જેટલી ચીજ વસ્તુઓ ભેટ સોગાદરૂપે અર્પણ કરાઈ હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં ખુતબો, સલાતો સલામ અને દુવા ગુજારવામા આવી હતી. યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, દિલીપભાઈ વસાવા,બચુભાઈ માસ્ટર, ઘનશ્યામ પટેલ,ઈમ્તિયાઝ અલી સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમુહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઈનુલ હસન ચિસ્તી ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિસ્તી અને ખ્વાજા રિયાઝુદ્દીન ચિસ્તી તેમજ ટ્રસ્ટના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.