Western Times News

Gujarati News

UPમાં મુકાબલોઃ ૧૦ બેઠકો પર મહાસંગ્રામ, યોગી અને અખિલેશ સામે ગઢ બચાવવાનો પડકાર

(એજન્સી)લખનૌ, દેશમાં સાત રાજ્યોની ૧૩ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ ન મળતાં ચિંતિંત ભાજપની ચિંતા વધારી છે. ૧૩માંથી માત્ર ૨ બેઠક પર જ જીત હાંસલ કરનારી ભાજપ પોતાને જ દિલાસો આપી રહી છે કે, પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષનો જ દબદબો હોય છે.

પરંતુ વાસ્તવમાં સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે. જ્યાં તે પોતે જ સત્તા પર છે. ઉત્તરપ્રદેશની ફૂલપુર, ખેર, ગાઝિયાબાદ, મઝવાં, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી અન કુંદરકીના ધારાસભ્યો આ વખતે લોકસભા ચૂંટણી જીતી સાંસદ બન્યા હોવાથી આ ખાલી પડેલી નવ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. સીસામઉ સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી ગુનેગાર સાબિત થતાં સભ્ય પદ રદ થઈ ગયુ હોવાથી આ બેઠક પર પણ પેટાચૂંટણી થઈ હતી.

આ બેઠકો પર પેટાચૂંટણીની હજી જાહેરાત થઈ નથી. પરંતુ તેની તૈયારી મુખ્ય વિપક્ષ સપાએ શરૂ કરી દીધી છે. ભાજપ પણ જીત માટે રણનીતિ ઘડી રહ્યું છે. સપાએ લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પ્રદર્શન કર્યું હોવાથી તે પેટાચૂંટણી માટે આશ્વસ્ત છે. પરંતુ શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખવુ પડકાર પણ બની શકે છે.

ભાજપ પાસે લોકસભામાં બનેલી ધારણા તોડી આ પેટાચૂંટણીના માધ્યમથી કાર્યકરોના જુસ્સામાં વધારો કરવાની તક છે. જો કે, આ બેઠકોના સમીકરણ ભાજપના રણનીતિકારો માટે ચિંતાનો વિષય બન્યા છે. જેમાં સપાની બેઠક પર જે પાંચ બેઠકો ખાલી થઈ છે, તેમાં સપાનો જ દબદબો રહેવાની શક્યતા છે. મેનપુરીની કરહલ બેઠકમાંથી સપાના વડા અખિલેશ યાદવ ધારાસભ્ય હતા.

આ બેઠક સપાનો ગઢ ગણાય છે. મુરાદાબાદની કુંદરકી બેઠક પરથી જિયાઉરહમાન બર્ક ધારાસભ્ય હતા. હવે તે સાંસદ બનતાં મુસ્લિમ બહુમત ગણાતી બેઠક પરથી સપાનો કબજો દૂર કરવો મુશ્કેલ છે.૧૯૯૧માં જ આંબેડકર નગરની કથેરી બેઠક પરથી ભાજપ જીતી હતી. અહીં બસપા પાંચ વખત અને સપા બે વખત જીતી છે. વિસ્તારના મજબૂત નેતા અને બે વખત જીતેલા લાલજી વર્મા હવે સપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા છે. ભાજપને અહીં પોતાના પ્રભાવનો ફાયદો ઉઠાવવા માટે ઘણો પરસેવો પાડવો પડશે. તમામની નજર ફૈઝાબાદ લોકસભા બેઠક હેઠળની મિલ્કીપુર વિધાનસભા બેઠક પર રહેશે.

અયોધ્યાની ધરતી પર ભાજપને હરાવનાર અવધેશ પ્રસાદની આ બેઠક પર ભાજપે પોતાની તાકાત બતાવવી પડશે. જ્યારે કાનપુરની સીસામા બેઠકની વાત કરીએ તો સપાના ઈરફાન સોલંકી અહીં ત્રણ વખત ધારાસભ્ય હતા. ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૨૨માં સપાના વિજય માર્જિનમાં પણ વધારો થયો હતો. આ બેઠક પર પણ સૌથી વધુ મુસ્લિમ વસ્તી છે.

ભાજપને અહીં વધારાની બેઠકો મળવાની શક્યતા અત્યારે મર્યાદિત જણાઈ રહી છે, પરંતુ તેની સામે તેના ગઢની પાંચ બેઠકો બચાવવાનો પડકાર ચોક્કસપણે છે. તેમાં પ્રયાગરાજની ફુલપુર, અલીગઢની ખેર અને ગાઝિયાબાદ બેઠકો પર ભાજપ માટે લડાઈ થોડી સરળ રહેશે. પરંતુ મુઝફ્ફરનગરની મીરાપુર બેઠક એટલી સરળ નથી.

ગત વખતે આ બેઠક પરથી આરએલડીના ચંદન ચૌહાણ જીત્યા હતા, ત્યારે આરએલડી-એસપીનું ગઠબંધન હતું. આ બેઠક પર સપાનો પણ સારો દબદબો રહ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં મુઝફ્ફરનગર બેઠક પણ ગુમાવી છે. આવી સ્થિતિમાં આ એક પડકાર છે. એ જ રીતે નિષાદ પક્ષે મિર્ઝાપુરની મઝવાન બેઠક પર જીત મેળવી હતી.

અહીં ભાજપ અને નિષાદ પક્ષે સામાજિક સમીકરણો ઘડવા પડશે. ભાજપના પ્રદેશ અધિકારીનું કહેવું છે કે ચૂંટણી થવામાં હજુ સમય છે. પક્ષ પાસે ચૂંટણી દ્વારા જ્ઞાતિના સમીકરણો સુધારવાની તક છે. ઉપરાંત, નારાજ અને નિÂષ્ક્રય કાર્યકરોને ફરીથી સાથે લાવવાનો સમય આવી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.