Western Times News

Gujarati News

છેલ્લા ૧૦ વર્ષથી જર્જરિત હાલતમાં છે ગોધરા તાલુકાના પઢીયાર ગામની ત્રણ આંગણવાડીઓ

કોઈ દુર્ઘટના બનશે અને બાળકોને કોઈ પણ પ્રકારની ઈજાઓ પહોંચશે તો જવાબદાર કોણ?

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ આંગણવાડી જર્જરિત હાલતમાં છે. નજરે જોનાર ને સાવ બદતર હાલતમાં અને ખંડેર જેવી લાગતી આંગણવાડી માટે સ્થાનિક જિલ્લાનું શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર સહિત સરકાર ક્યારે પગલા ભરશે તે જોવાઇ રહ્યું છે.

શુ આવી રીતે ભણશે ભારતના ભવિષ્યના નાગરિકો ? પઢીયાર ગામની અંદર ત્રણ આંગણવાડી આવેલ છે જેમાં પઢીયાર મુખ્ય ૧, કરણના મુવાડા પઢીયાર , અંદરના મુવાડા પઢીયાર ૩ એમ આ ત્રણેય આંગણવાડી છેલ્લા ૧૦ વર્ષથી જર્જરિત હાલતમાં છે.

આ અંગે ગ્રામજનોએ લાગતા વળગતા સત્તાધીશોને લેખિત અને રૂબરૂ અનેક રજુઆતો કરી તેમ છતાં આ રજુઆત ને લઇ કોઈ ધ્યાન આપતું નથી.તેવો આક્ષેપ સ્થાનિક ગ્રામ જનો એ કર્યો હતો.બાળકો હાલ ગામમાં આવેલા ભાડા નાં મકાનોમાં અભ્યાસ કરી રહ્યા છે. આ મકાનોમાં બાળકો માખી મચ્છર નો ભોગ બને છે.આ સ્થિતિમાં કોઈ ગંભીર રોગ થશે તો જવાબદાર કોણ? તેમાં પણ ભાડાના મકાનમાં અનેક અગવડતા પડતી હોય છે.

પૂરતી જગ્યા મળતી નથી અમુક ઘર લિપણ વાળા છે. ત્યાં ઝેરી જીવજંતુઓ આવી કરડે તો તે માટે જવાબદાર વ્યક્તિ કોણ ? હાલ ચોમાસાની ઋતુ છે જેમાં અત્યારે ચાંદીપુરમ જેવા વાયરસનો બાળકોમાં ફેલાવો થાય છે આંગણવાડીના આંગણમાં જ ખૂબ કાદવ કીચડ ભરાઈ રહે છે તો બાળકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે.

ત્યારે ગ્રામજનોની માંગ છે કે છેલ્લા ૧૦ વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેલ આંગણવાડી યુદ્ધના ધોરણે નવી બનાવવામાં આવે. જેથી બાળકો ને તેમજ આંગણવાડી કાર્યકરોને એક ઘરથી બીજે ઘર બાળકોને ભણવા ભણાવવા ભટકવું ન પડે. જો આ બાબતે સરકાર અને સત્તાધીશો કોઈ તાત્કાલિક પગલાં નહિ ભરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું સ્થાનિક ગામલોકો જણાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.