Western Times News

Gujarati News

જિંદગી થોડીક સમજાય ત્યાં સુધીમાં તો અડધી જિંદગી પૂરી થઈ ગઈ હોય છે

જિંદગી જેટલી વહેલી સમજાય એટલું સારું છે ! -જિંદગીનો એક પ્રોબ્લેમ એ છે કે, જિંદગી થોડીક સમજાય ત્યાં સુધીમાં તો અડધી જિંદગી પૂરી થઈ ગઈ હોય છે. જિંદગી વિશે સ્ટીવ જોબ્સ અને રાકેશ ઝુનઝુનવાલા જે કહી ગયા છે એ વાત સમજવા જેવી છે. શાંતિ, સ્વસ્થતા અને સંબંધો સજીવન હોય એ ખૂબ જરૂરી છે !

તમારી જિંદગી વિશે તમે શું માનો છો ? તમને તમારી જિંદગીથી સંતોષ છે ? તમને જિંદગી જીવવાની મજા આવે છે ? તમને કોઈ આવા સવાલ પૂછે તો તમે શું જવાબ આપો ? આપણી એક જિંદગીના અનેક પડાવો હોય છે. દસ વર્ષે બાળકને જિંદગી જુદી લાગતી હોય છે. વીસ વર્ષે આંખોમાં અનેક સપનાંઓ અંજાયેલા હોય છે. ત્રીસ, ચાલીસ, પંચાસ, સાઠ, બર્થે ઉજવાતા રહે છે અને જિંદગી ઘટતી રહે છે.

જિંદગીની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો એ છે કે, જિંદગી સરખી સમજાય ત્યાં તો તે અડધી પૂરી થઈ ગઈ હોય છે. માણસ છેક સુધી જિંદગીને સેટલ કરવા મથતો જ રહે છે. જરાક એવું લાગે કે, હવે જવાબદારીમાંથી મુક્ત થયા છીએ ત્યાં વળી કંઈક નવું સામે આવીને ઉભું રહી જાય છે.

આપણે નસીબ, લક, તકદીર, ડેસ્ટિની જે વાતો કરીને કયારેક સાંત્વના તો ક્યારેક સહાનુભુતિ મેળવતા રહીએ છીએ. દરેક માણસે દરેક પરિસ્થિતિમાં પોતાનાથી થઈ શકે એટલું બેસ્ટ કરવાના વિચાર આવે છે કે, મારે જે જોઈતું હતું એ મને મળ્યું છે ખરું ? જિંદગીના સવાલો સહેલા હોતા નથી અને જવાબો તો તેનાથી પણ અઘરા હોય છે.

સૌથી સુખી માણસ એ છે જેના મનમાં કોઈ ભાર નથી. મોટાભાગના લોકો કોઈ અફસોસ સાથે જીવતા હોય છે. કોઈને પોતાની વ્યકિત સાથે ઈશ્યૂ છે, તો કોઈને પોતાના સંતાનો સાથે જ બનતું નથી. કોઈને મિત્ર હેરાન કરી ગયા છે, તો કોઈ સાથે દગો ફટકો થયો છે. રિલેશનશિપ ક્રાઈસિસ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે.

માણસ આર્થિક ફટકો સહન કરી શકે છે. પણ માનસિક આઘાત પચાવી શકતો નથી. સૌથી મોટી વેદના પોતાના લોકો જ આપતા હોય છે. માણસ પોતે ધારતો હોય અને ઈચ્છતો હોય એમ જીવી શકતો નથી. એના કારણે ફરિયાદો જન્મે છે, પરિણામે જિંદગી વેડફાતી રહે છે.

જિંદગી દરેક તબકકે કંઈક શીખવતી હોય છે. આપણે કેટલું શીખીએ છીએ તે મહત્વનું હોય છે. દુનિયામાં જેટલા મહાન માણસો થઈ ગયા છે એમણે જતી જિંદગીએ એવી જ વાત કરી છે કે, જિંદગીમાં ધનદોલત, સુખ સાહ્યબી અને સાધનો જરૂરી છે, પણ એ બધાં કરતાંયે વધુ મહત્વનું કંઈ હોય તો એ છે પ્રેમ, સંબંધ અને સ્વાસ્થ્ય. જે લોકોને આ ત્રણ તત્વો વહેલા સમજાઈ જાય છે એ લોકો જિંદગી સારી રીતે જીવી શકે છે.

ઘણા લોકોને જિંદગી પુરી થઈ જાય ત્યાં સુધી આવું બધું સમજાતું જ નથી. સમજ, ડહાપણ, આવડત, બુદ્ધિ અને જ્ઞાન સરવાળે એ જ સાબિત કરે છે કે, આપણને કેવું જીવતા આવડે છે ? જિંદગી વિશે બે સફળ વ્યક્તિઓ એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને રાકેશ ઝુનઝુનવાલાએ જે વાત કરી છે એ સમજવા જેવી છે. સ્ટીવ જોબ્સને પેÂન્કયાઝ કેન્સર ડિટેકટ થયું હતું ડોકટરે તેમને કહી દીધું હતું કે, હવે તમારી પાસે માંડ પાંચ-છ મહિના છે. સ્ટિવ જોબ્સે કહ્યું.

આ મરવા માટેની તૈયારીનો સમય હતો. મારે ફેમિલીને કહી દેવાનું હતું કે, હવે હું જઈ રહ્યો છું. જે કંઈ વ્યવસ્થાઓ કરવાની હોય એ પૂરી કરવાની હતી. હું એક એવી બીમારીનો ભોગ બન્યો હતો જે લાઈલાજ હતી. તમે ગમે તો હોવ અને તમાર પાસે ગમે તેટલું હોય એનાથી કોઈ જ ફેર પડતો નથી એ વાત મને ત્યારે બરાબર સમજાઈ ગઈ હતી. મારી સારવાર દરમિયાન પેન્ક્રિયાઝના કેન્સરનું સ્ટેજ અને લાઈન ઓફ ટ્રીટમેન્ટ નકકી કરવાના હતા.

લેબોરેટરીમાં જે ડોકટર ચેક કરતા હતા તેની આંખોમાં ત્યારે આંસુ હતા. જયારે એને ખબર પડી કે, કેન્સર ઓપરેટ થઈ શકે એમ છે અને તબિયત સુધરી શકે એમ છે. ઓપરેશન થયું અને હું સારો થયો. બીમારીના સમય દરમિયાન મને સમજાયું કે, મોત ગમે ત્યારે આવી શકે છે એટલે રોજ એવી રીતે જ જીવવાનું કે આજે જિંદગીનો છેલ્લો દિવસ છે.

અઘરા સમયે જે તમારી સાથે હોય છે એ તમારા લોકો જ હોય છે, બાકીનું બધું જ ગૌણ થઈ જાય છે. જિંદગીની પ્રાયોરિટીઝ શું છે એના વિશે વિચાર કરીને જ આગળ વધવું જોઈએ. દરેક વ્યક્તિએ સમયને ઓળખવો જોઈએ. કારણ કે જિંદગીમાં એ સતત ઘટતો જતો હોય છે.

હવે રાકેશ ઝુનઝુનવાલાએ જે કહ્યું છે તેના પર નજર કરી લઈએ. ૪૦ હજાર કરોડની નેટવર્થ થઈ ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમને કેવું લાગે છે ? તેમને સરસ
વાત કરી હતી કે, કેટલી સંપત્તિ છે એ મહત્વનું છે જ નહી. ઈમ્પોર્ટન્ટ એ છે કે તમે કેવી રીતે જીવો છયો ! મારી પાસે અત્યારે જે સંપત્તિ છે એના દસ ટકા જેટલી જ હોત તો પણ હું અત્યારે જીવું છું એમ જ જીવતો હોત.

હું રહું છું એ જ ઘરમાં રહેતો હો. રાકેશ ઝુનઝુનવાલાને સિંગાર અને દારૂની આદત હતી. તેણે કહ્યું કે, મારે એમાં ધ્યાન રાખવાની જરૂર હતી. આદતો પડતા પડી જાય છે, પણ એ તમને બહુ હેરાન કરે છે. સ્વાસ્થ્ય સૌથી મોટી મૂડી છે એ સમજાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. હું એનો પણ અફસોસ કરતો નથી. જિંદગી જીવવામાં માનું છું. રાકેશ ઝુનઝુનવાલાના નામે કેટલીય વાતો સોશિયલ મીડિયા પર ફરતી રહે છે. કેટલીક એવી વાતો છે, જે તેમણે કરી નથી, પણ તેમના નામે ફરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.