Western Times News

Gujarati News

ભારત-પાક.ની જેમ ઈઝરાયેલ-ઈરાન વચ્ચે પણ યુદ્ધવિરામ કરાવીશઃ ટ્રમ્પની શેખી

ટ્રમ્પની બેવડી નીતિ ખુલ્લી પડી

ટ્રમ્પે રવિવારે ઈઝરાયેલ અને ઈરાનને પ્રવર્તમાન અઘોષિત યુદ્ધના મામલે શાંતિ સ્થાપવા અપીલ કરી છે

વોશિંગ્ટન,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત મધ્યસ્થીનો રાગ આલાપ્યો છે. ટ્રમ્પે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો કર્યાે છે. યુએસ પ્રમુખે અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં પણ પોતે મધ્યસ્થી કરાવી હોવાનો જશ લીધો હતો. ટ્રમ્પે રવિવારે ઈઝરાયેલ અને ઈરાનને પ્રવર્તમાન અઘોષિત યુદ્ધના મામલે શાંતિ સ્થાપવા અપીલ કરી છે. આમ યુએસ પ્રમુખની બેવડી નીતિ ખુલી પડી રહી છે. અગાઉ ટ્રમ્પે ઈરાનને પરમાણુ સોદો નહીં કરે તો ઈઝરાયેલ વધુ હુમલા કરશે તેવી ધમકી આપી હતી અને હવે તે મધ્યપૂર્વના બંને દુશ્મન દેશો વચ્ચે શાંતિની અપીલ કરી રહ્યા છે.

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનનું ઉદાહરણ ટાંક્યું હતું. આમ ટ્રમ્પે વધુ એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણને શાંત પાડવામાં પોતાની ભૂમિકા હોવાનો ઉલ્લેખ કર્યાે હતો. ટ્રમ્પે હવે ઈઝરાયેલ અને ઈરાનને શાંતિ સ્થાપવા માટે અપીલ કરી છે. જ્યારે યુએસ પ્રમુખે અગાઉ જણાવ્યું હતું કે, જો ઈરાન અમેરિકાની મિલકોને નિશાન બનાવે છે તો અમેરિકાનું લશ્કર કાર્યવાહી કરી શકે છે અને ઈરાને ગંભીર પરિણામ ભોગવવું પડશે.

ટ્રમ્પે રવિવારે આ કડક વલણથી ગુલાટી મારી હતી અને જણાવ્યું કે, બંને દેશો વચ્ચે સંખ્યાબંધ ટેલિફોનિક વાતચીત અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ શાંતિ સ્થાપવાનો રસ્તો શોધી લેવાશે. ટ્રમ્પે તેના પ્રમુખ તરીકેના પ્રથમ કાર્યકાળમાં કેટલાક દેશો વચ્ચે લશ્કરી તણાવનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, આ માટે તેમના ઉત્તરાધિકારી જો બાઈડેનની નીતિઓ જવાબદાર છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.