રાજ્યમાં ચોમાસા પૂર્વે 550 કોલોનીમાં 70 હજારથી વધુ મકાનોને નોટિસ ફટકારાઈ

પ્રતિકાત્મક
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરની ૧રપ કોલોનીમાં ૪૦ હજાર જર્જરિત મકાનોને નોટિસ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઉસિંગ બોર્ડે સમગ્ર રાજ્યમાં પપ૦થી વધુ કોલોનીમાં ૭૦ હજારતી વધુ જર્જરિત મકાનોને નોટિસ ફટકારી સપાટો બોલાવ્યો છે. અમદાવાદની ૧રપ કોલોનીના ૪૦ હજારતી વધુ જર્જરિત મકાનોને નોટિસ ફટકારીને ચોમાસા પૂર્વેની કાર્યવાહી હાથ ધરી છે. નોટિસનો આંકડો વધશે. બોર્ડના કહેવા મુજબ જર્જરિત મકાનમાં કોઈ ઘટના બને તો માલિક જવાબદાર ઠેરશે.
બોર્ડની ઘણી કોલોનીઓ ગતવર્ષે રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ ગઈ છે. જેની સામે બાકી રહેતી સોસાયટીઓમાં જર્જરિત મકાનોની સંખ્યા વધી રહી છે. ચોમાસામાં ઘણા મકાનો પડી જવાની શક્યતાના પગલે બોર્ડે પગલાં ભર્યા છે. ગત વર્ષે પણ ચોમાસા પૂર્વે જર્જરિત મકાનનો ભાગ પડી જવાની ઘટના બની હતી.
દર વર્ષે નોટિસ અપાય છે પણ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી કારણ કે મકાનમાં કોઈ પણ અઘટિત ઘટના બને તો જવાબદાર મકાન માલિક જ જવાબદાર ઠરે છે. જેથી બોર્ડના અધિકારીઓ નોટિસ આપીને શાંતિથી બેસી રહે છે.
નોટિસમાં બોર્ડે જર્જિરત મકાનો ધરાવતા મકાન માલિકો અને સોસાયટીના લોકો જર્જરિત મકાન રિપેર કરાવે, અન્ય સ્થળે સ્થળાંતર થઈ જાય અને બહુમત સાથે રિડેવલપમેન્ટમાં જોડાઈ જાય. નોટિસની નકલ મ્યુનિ. કોર્પોરેશનને પણ રવાના કરાશે.
બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે, નોટિસ આપ્યા પછી મકાન ખાલી કરાય નહીં અને જર્જરિત મકાનોમાં કોઈ અઘટિત ઘટના બને તો બોર્ડની કોઈ જવાબદારી રહેશે નહીં. અગાઉ સરકારમાં પણ આ અંગે જાણ કરાઈ છે. આમ છતાં મકાન માલિકો રિપેરીંગ નહીં કરાવતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાકમાં તો આખા બિલ્ડીંગોમાં તિરાડ પડી છે. ઘણા ફલેટોમાં તો કોમન પાણીની ટાંકીઓ સહિત કેટલોક ભાગ અતિ જર્જરિત હોવાના લીધે ગમે ત્યારે તૂટી જવાની શક્યતા છે.
ગેરકાયદે બાંધકામ પણ વધી ગયા છે અને હાલ બાંધકામ થઈ રહ્યા છે. આવા બાંધકામોને લીધે રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યો છે આમ છતાં તેને રોકવામાં આવતો નથી.