પાળિયાદ પાસે ટ્રક પાછળ ખાનગી પ્રવાસી બસ ઘૂસી જતાં ત્રણનાં મોત

ભાવનગર, બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઘાયલોને તાત્કાલિક સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ખાનગી બસમાં મહિલાઓ સહિત ૫૦થી ૬૦ જેટલા લોકો ખોડલધામ કાગવડ અને વીરપુરના પ્રવાસે ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે બોટાદના પાળીયાદ નજીક અકસ્માત થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સાકરડી રોડ પર ઊભેલા એક ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી જતાં આ ગંભીર ઘટના બની હતી.
આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈ (તમામ રહે. ઉમરાળા ગામ) ના હોવાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્તોને ૧૦૮ ઈમરજન્સી દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને બોટાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.SS1MS