ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે

સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન- અરણ્ય ઉદ્યાનમાં નિઃશૂલ્ક પ્રવેશ અપાશે
ગુજરાત સહિત ભારતભરમાં પ્રતિ વર્ષ મહાત્મા ગાંધી જયંતી એટલે કે તા. ૦૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ‘ની વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવે છે.
Gujarat Ecological Education and Research-ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે તા. ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫‘ ઉજવવામાં આવનાર છે. જેમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુસર આ સપ્તાહ દરમિયાન મુલાકાતીઓને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન- અરણ્ય ઉદ્યાનમાં નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવશે તેમ,ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ સપ્તાહનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરિકોને વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. આ વર્ષે ‘Human-Animal Coexistence’ વિષયવસ્તુ સાથે વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, જે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે માનવ અને પ્રાણીઓના સહઅસ્તિત્વ જેવી મહત્વની બાબત પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે.
દર વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે ‘વન્યજીવ સપ્તાહ‘ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર સપ્તાહ દરમિયાન વન્યજીવો આધારિત રસપ્રદ માહિતી સહિત બાળકો માટે વાઈલ્ડલાઈફ ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના વન વિસ્તારમાં તા. ૦૨ ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાન તથા સાંજે પ્લાસ્ટિક વેસ્ટ બોટલમાંથી પ્લાન્ટર્સ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૦૩ ઓક્ટોબરના રોજ સાંજે ઈકો આર્ટ એક્ટિવિટી, તા.૦૪ના રોજ આયુર્વેદિક તબીબો દ્વારા નિઃશૂલ્ક રોગ નિદાન અને ચિકિત્સા શિબિરનું પણ આયોજન કરવામાં આવનાર છે. જ્યારે તા. ૦૫ના રોજ સવારે નેચર વોક અને સાંજે વાઈલ્ડલાઈફ ક્લે-પોટરી આર્ટ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવનાર છે.
તા. ૦૭ના રોજ સાંજે વાઈલ્ડલાઈફ ઓરિગામી ઍક્ટિવિટિ યોજવામાં આવનાર છે. આ સાથે તા. ૦૮ ઓક્ટોબરના રોજ કોલેજના વિદ્યાર્થીઓ માટે સેમિનાર, ફિલ્ડ એક્સપોઝર વિઝિટ સહિત અવનવી પ્રવૃત્તિઓ-કાર્યક્રમો યોજવામાં આવનાર છે જેનો વન્યજીવ અને પર્યાવરણ પ્રેમી નાગરિકો- વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ લેવા ગીર ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.