સરદાર સરોવર નર્મદા ડેમ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી ૬ઠ્ઠી વાર ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો

પ્રતિકાત્મક
આદ્યશક્તિ જગત જનની માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સંવાદ વાર્તાલાપ કર્યો-સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી અવસરે ૩૧મી ઓક્ટોબરે થનારી રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી અને એકતા પરેડ સહિતના કાર્યક્રમના સ્થળ નિરિક્ષણ અને આયોજનની વિગતો મેળવી
આ સિઝનમાં ૩૦૨ કરોડ યુનિટ અને અત્યારસુધી ૬,૮૧૦ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઇ.
ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફ લાઈન એવી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જગત જનની આદ્યશક્તિ માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળ પૂજન અને વધામણાંથી કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ૧૦,૪૫૩ ગામો, ૧૯૦ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ ૦૬ વખત – વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘન મીટર છે.
રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જળ પૂજન અને વધામણા કરીને આગળ ધપાવી છે. તેમણે પારસમણિ સમાન નર્મદા જળનો કરકસર પૂર્વક અને વિવેક પૂર્ણ ઉપયોગ કરવાની સૌને અપીલ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સહજ ભાવે સંવાદ-વાર્તાલાપ કર્યો હતો અને વિવિધ ટુરીસ્ટ ફેસેલિટીઝની જાણકારી મેળવી હતી.
સરદાર પટેલ જન્મ જયંતી ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતા નગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીના વિશેષ અવસરે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને ૩૦ દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારિત સમય કરતાં ૯ મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.
આના પરિણામે આ વર્ષના ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં ૯૮ MCM (૩૪૩૧ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૮૭૭ તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજનામાં ૧૧૪ MCM (૩૯૯૨ MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને ૩૬ તળાવો, ૩૨૫ ચેકડેમ અને ૩૧ ડેમ ભરવામાં આવી રહ્યા છે તથા ૧૬૨ તળાવો, ૧૧૦૪ ચેકડેમ અને ૩૦ ડેમ ભરવામાં આવ્યા છે.
સિંચાઈ વિભાગની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પૂરતું પાણી સરદાર સરોવર ડેમ માંથી વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે નર્મદા બંધનાં ઓવરફ્લોના સમય દરમિયાન પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ જેવી ૧૦ નદીઓમાં નર્મદાનું પાણી વહેવડાવી જીવંત કરવામાં આવેલું છે.
ચાલુ ચોમાસાનાં સમયમાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ ૩૦૨ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થયેલ છે. તેમજ અત્યાર સુધીમાં મહત્તમ ૧૦૫ કરોડ યુનિટ માસિક વિજળીનું ઉત્પાદન સપ્ટેમ્બર ૨૦૨૫મા થયુ છે. અત્યાર સુધીમાં કુલ ૬,૮૧૦ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળપૂજનના આ પવિત્ર અવસરે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભિમસિંગભાઇ તડવી, સંગઠનના પદાધિકારીઓ, મુખ્યસચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ નર્મદા નિગમનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પુરી, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી નિપુણા તોરવણે, સરદાર સરોવર નર્મદા નિગમના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અમિત અરોરા,ડાયરેકટર શ્રી ઠક્કર તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.