પંજાબના શાહી ઇમામ મૌલાના ઉસ્માન લુધિયાણવી સાહેબનો અમદાવાદમાં ભવ્ય સન્માન
પંજાબમાં પૂરના સમય દરમિયાન આપેલી અપ્રતિમ સેવાઓ બદલ આભાર અને અભિનંદન વ્યક્ત
(એજન્સી)અમદાવાદ, પંજાબમાં તાજેતરમાં આવેલી કુદરતી આફત (ફ્લડ) દરમિયાન નિઃસ્વાર્થ ભાવથી માનવસેવા આપનાર પંજાબના શાહી ઇમામ મૌલાના ઉસ્માન લુધિયાણવી સાહેબને આજે અમદાવાદમાં ભવ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહ મૌલાના હબીબ સાહેબના ફૈઝાની સ્કૂલના પટાંગણમાં યોજાયો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર કાઉન્સિલર ઈકબાલ શેખ, જુલ્ફી ખાન અને ઈશાક શેખની આગેવાનીમાં અમદાવાદ ના શીખ સમાજના અગ્રણીઓ તથા અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શીખ સમજના અગ્રણીઓ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું
આ અવસરે શીખ સમાજના સર્વશ્રી નરેન્દ્રસિંહભુશ્રી, ગુરુદિપસિંહ છાબરા, કુલદીપસિંહ, સંદીપસિંહ ચાવલા, કુલવંતસિંહ ચાવલા, મનજીતસિંહ છાબરા અને સંતોષસિંહ ચાવલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અને મૌલાના ઉસ્માન લુધિયાણવી સાહેબને ક્રિપાલ તલવાર અને બુકે તેમજ સાલથી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શીખ અને મુસ્લિમ બંને સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને “હિંદુ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારાઓથી સમગ્ર પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મૌલાના હબીબ સાહેબનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો,
કેમકે પંજાબમાં અતિવૃષ્ટિના સમય દરમિયાન એમની ટીમે પણ મૌલાના ઉસ્માન સાહેબ સાથે રહી સેવા કાર્યોમાં સહભાગી બની હતી. શાંતિ, એકતા અને માનવસેવાનો સંદેશ આપતા આ સમારંભે શીખ અને મુસ્લિમ સમાજ વચ્ચે સૌહાર્દ અને ભાઈચારાના ભાવને વધુ મજબૂત બનાવ્યો હતો.
