ભારતમાં ૮૧૧ લોકોની સારવાર માટે માત્ર ૧ ડોક્ટર ઉપલબ્ધ: કેન્દ્ર
નવી દિલ્હી, ભારતમાં વસ્તી અને ડોક્ટરો વચ્ચેનો ગુણોત્તર ૧ઃ૮૧૧ છે એમ કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં માહિતી આપી હતી. રાજ્યસભામાં પૂછાયેલાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આરોગ્ય મંત્રી જે.પી નડ્ડાએ કહ્યું હતું કે હાલ દેશમાં ૧૩,૮૮,૧૮૫ નોંધાયેલા એલોપેથિક ડોક્ટર છે જ્યારે મેડિસીનની આયુષ સિસ્ટમમાં ૭,૫૧,૭૬૮ ડોક્ટરો રજિસ્ટર્ડ છે.
આયુષ સિસ્ટમ અને રડિસ્ટ્ર્ડ પ્રેક્ટિસનર્સ એમ બંને કેટેગરીના અંદાજે ૮૦ ટકા ડોક્ટરો હાલ ઉપલબ્ધ છે એવું અનુમાન મુકતા એમ કહી શકાય કે દેશમાં ડોક્રટરો અને વસ્તી વચ્ચેનો ગુણોત્તર ૧ ઃ ૮૧૧નો છે. આરોગ્યમંત્રીના આ નિવેદનનો એમ અર્થ કરી શકાય કે દેશના પ્રત્યેક ૮૧૧ લોકોની સારવાર કરવા ફક્ત ૧ ડોક્ટર ઉપલબ્ધ છે.
આરોગ્યમંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે છેલ્લાં ૧૧ વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજની સંખ્યામાં અને અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે.
૨૦૧૪માં દેશમાં ૩૮૭ મેડિકલ કોલેજ હતી જે આજે વધીને ૮૧૮ ઉપર પહોંચી છે. સમાન રીતે ૨૦૧૪માં અંડરગ્રેજ્યુએટની બેઠકો ૫૧,૩૪૮ હતી જે આજે વધીને ૧,૨૮,૮૭૫ થઇ છે અને પોસ્ટ-ગ્રેજ્યુએટની બેઠકો ૩૧,૧૮૫ હતી જે વધીને ૮૨,૦૫૯ થઇ છે.
દેશના અંતરિયાળ વિસ્તારોમાં ડોક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે વિવિધ પગલાં લીધા છે.નડ્ડાએ ઉમેર્યું હતું કે સરકાર પ્રયોજિત યોજના અંતર્ગત જિલ્લાની કે રેફરલ હોસ્પિટલો સાથે સંકળાયેલી ૧૫૭ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી તે પૈકી ૧૩૭ મેડિકલ કોલેજ હાલ કાર્યરત છે.
ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર જેવી જ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકારે એમબીબીએસના અભ્યાસક્રમમાં ફેમિલી એડોપ્શન પ્રોગ્રામને પણ સાંકળી લીધો છે.SS1MS
