બદલાતા સમય સાથે ગુજરાત વિધાનસભાની કામગીરી પણ નવીનત્તમ ટેકનોલોજી સાથે આધુનિક બની રહી છેઃ શંકર ચૌધરી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષશ્રી તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રીની શુભેચ્છા મુલાકાત
ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષશ્રી હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રી રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલશ્રીએ તમામ અધ્યક્ષશ્રીઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યુ હતું.
આ મુલાકાત દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે ગુજરાત વિધાનસભાની કામગીરી પણ નવીનત્તમ ટેકનોલોજી સાથે આધુનિક બની રહી છે. પ્રજાના પ્રશ્નોની ઝડપથી ચર્ચા થઈ શકે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રીએ પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલા પ્રજાલક્ષી બદલાવ અંગે માહિતી પુરી પાડી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ભવિષ્યની પેઢીને શુદ્ધ અને સાત્વિક આહાર મળશે તેમજ જળ, જમીન અને પર્યાવરણનું સંરક્ષણ પણ થશે. આ ઉપરાંત તેમણે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર પણ પ્રાથમિક ચર્ચા કરી હતી.
