8 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક: સમગ્ર રાજ્યમાં એક પેડ માં કે નામ-3.0
File PHoto
હરિયાળુ ગામ અને ઈ-પર્યાવરણ અન્વયે આછવણીમાં વિવિધ 28 પ્રજાતિના 1600 વૃક્ષોનું વાવેતર અને ઉછેર થશે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના આદિજાતિ વિસ્તાર આછવણીમાં ગુરૂવારે એક પેડ માં કે નામ-3.0 અંતર્ગત ગ્રામજનો સાથે વૃક્ષારોપણમાં સહભાગી થયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધરતી માતાને હરિયાળી બનાવવા ગ્રીન કવર વધારવાનું આહવાન કર્યુ છે અને દરેક વ્યક્તિને પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ-“એક પેડ માં કે નામ” અન્વયે વાવવાની અપિલ કરેલી છે.
વડાપ્રધાનશ્રીએ 2024માં વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરાવેલા આ દેશવ્યાપી અભિયાનના બે તબક્કાઓ પૂર્ણ થયા છે અને આ વર્ષે એક પેડ માં કે નામ-3.0 અંતર્ગત ગુજરાતે 8 કરોડ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ અભિયાનના પ્રથમ ચરણમાં 2024માં ગુજરાતે 17.50 કરોડ રોપાઓનું તેમજ 2025માં બીજા ચરણમાં 10.96 કરોડ રોપાઓનું વાવેતર કરીને અગ્રેસરતા મેળવી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે સાંજે નવસારીના ખેરગામ તાલુકાના આછવણીમાં ગ્રામજનોના સહયોગથી હરિયાળુ ગામ અને ઈ-પર્યાવરણ અંતર્ગત વૃક્ષારોપણ કર્યુ હતું. જેમાં એક પેડ માં કે નામ-3.0 અભિયાન હેઠળ વિવિધ 28 પ્રજાતિના 1600 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરાશે.
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આ વૃક્ષારોપણ ઉપરાંત નવસારી જિલ્લાના આદિજાતિ ગામો આછવણી અને પાણીખડકમાં ગુરૂવારે રાત્રી રોકાણ કરીને ગ્રામસભામાં ગ્રામ જનો સાથે સંવાદ, સામૂહિક સફાઈ અને પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ વાર્તાલાપ કર્યો હતો.
એક પેડ માં કે નામ-3.0 અભિયાન અન્વયે નવસારી જિલ્લામાં સમગ્રતયા 42.34 લાખ વૃક્ષોના વાવેતરનો વન વિભાગે લક્ષ્યાંક રાખ્યો છે. નવસારી જિલ્લાએ 2025-26માં એક પેડ માં કે નામ-2.0માં શહેરી અને ગ્રામીણ વિસ્તાર મળીને કુલ 20.38 લાખ રોપાઓનું વાવેતર કર્યુ હતું.
આ પ્રસંગે ગ્રામજનોને પ્રેરણા આપતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ એ માત્ર આપણી જવાબદારી નથી, પરંતુ આપણી નૈતિક ફરજ છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં જો આપણે આપણી ધરતી માતાને બચાવવી હશે, તો પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જ પડશે.
તેમણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય વપરાશ સામે ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું કે, ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવાથી જ જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકશે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને બિરદાવતા ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને વાવેલા વૃક્ષોનું સંતાનની જેમ જતન કરવા આહવાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ અને પ્રત્યેક નાગરિક દ્વારા પર્યાવરણની જાળવણી માટે લેવાયેલું એક નાનું પગલું પણ ભવિષ્યની પેઢીઓ માટે વરદાન સાબિત થશે. ગ્રામીણ સ્તરેથી શરૂ થયેલી આ જનજાગૃતિ જ સદ્દઢ અને સમૃદ્ધ ભારતના નિર્માણનો પાયો બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રકૃતિના જતન અને સંવર્ધન પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું છે કે, જો આપણે પ્રકૃતિનું ધ્યાન રાખીશું તો જ આપણું જીવન અને સંસ્કૃતિ ટકાવી શકીશું. કોરોના કાળના કપરા સમયની યાદ અપાવતા તેમણે ઉમેર્યું કે, કુદરતે માનવ જાતને સૌને મોટો પાઠ ભણાવ્યો છે કે ગમે તેટલા પૈસા કે વૈભવ હશે, પરંતુ જો ઓક્સિજન નહીં મળે તો શરીર છોડવું પડશે અને કોઈનું કંઈ ચાલશે નહીં.
મુખ્યમંત્રીશ્રીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પાણી અને પેટ્રોલ બચાવવા માટે જાગૃત થવા અપીલ કરીને જળસંચયના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, રાજ્યમાં વધુમાં વધુ તળાવો બને અને તે પાણીથી ભરાય તે માટે આપણા સૌના સામૂહિક પ્રયાસો હોવા જોઈએ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવેદનશીલ અભિગમથી પર્યાવરણ સંરક્ષણના અભિયાનોમાં જન જનને જોડ્યા છે ત્યારે રાજ્યના પ્રત્યેક નાગરિકને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવા અને ઉછેરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેરક આહવાન કર્યું હતું.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્વપ્નીલ એમ સિસલે, નાયબ વન સંરક્ષક સુશ્રી ઉર્વશી પ્રજાપતિ, પદાધિકારી-અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
