બાંગ્લાદેશમાં સર્જાયેલી કુદરતી આફતે તબાહી મચાવી: 51 લોકોના મોત
સૌથી વધારે નુકસાન રોહિગ્યા શરણાર્થી શિબિરોમાં થયું-કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ જવાથી મોતને ભેટ્યા
ઢાકા, બાંગ્લાદેશમાં કુદરતી આફતે ભારે વિનાશ સર્જ્યો છે. દક્ષિણપૂર્વ વિસ્તારમાં સતત વરસતા ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. આ આપત્તિમાં કોક્સ બજાર જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે. At least 51 people have died and another 39 were injured due to flooding in Bangladesh.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, સૌથી મોટું નુકસાન રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં થયું છે. ભારે વરસાદ પછી થયેલા ભૂસ્ખલનમાં બાળકો સહિત અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ છે.
બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયે 13 જુલાઈએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે પૂર અને ભૂસ્ખલનથી 51 લોકોના મોત થયા છે. આ કુદરતી આફતે સમગ્ર પ્રદેશમાં જનજીવન ખોરવી નાખ્યું છે અને ઘણા ગામડાઓ સંપૂર્ણપણે કટાઈ ગયા છે.
કોક્સ બજાર જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ઘણા ગામડાઓ હજુ પણ કમર સુધી પાણીમાં ડૂબેલા છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોની છત સુધી પહોંચી ગયું છે. લોકો સલામત આશ્રયની શોધમાં પોતાના ઘરો છોડીને ભાગી રહ્યા છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ, આ પૂરને કારણે 10 લાખથી વધુ લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા છે. પૂર પીડિતોએ ફરિયાદ કરી છે કે વહીવટીતંત્ર તરફથી રાહત સહાય ખૂબ ધીમી ગતિએ પહોંચી રહી છે અને તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી નથી.
