દહેજની યશસ્વી કંપનીના બ્લાસ્ટઃ ૭ પૈકી ૨ આરોપીઓની અટકાયતઃ બંને કોરોના પોઝીટીવ
૫ પોલીસકર્મીઓને હોમ કોરન્ટાઈન કરાયા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: દહેજના સેઝ-૨માં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં ૩ જુન ના રોજ બનેલ વિસ્ફોટક તથા આગની દુર્ઘટનામાં આખરે દહેજ મરીન પોલીસે જાતે ફરિયાદી બની કંપનીના પ્લાન્ટના યુનિટ હેડ સહિત સાત જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.તપાસમાં ડાયમીથાઈલ સલ્ફરની ટેન્કમાં ભૂલથી નાઈટ્રિક એસિડ અને નાઈટ્રિક એસિડની ટેન્કમાં ડાઇમિથાઈલ સલ્ફેર નાખતા કેમિકલ રિએક્શનના પગલે દુર્ઘટના ઘટી હતી જેમાં ૧૦ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ૭૫ જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
૩જી જૂનના રોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ યશસ્વી રસાયણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા આખો દહેજ પંથક ધ્રુજી ઉઠયો હતો બ્લાસ્ટના પગલે કંપનીમાં આગ ફાટી નીકળી હતી જેમાં છ કામદારો જીવતા ભૂંજાઈ જતા ઘટના સ્થળે જ તેમના મૃત્યુ થયા હતા.જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા અન્ય ચાર કામદારોના સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતા.૭૫ જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા વિસ્ફોટના પગલે લોખંડની પ્લેટો અને સ્ટ્રક્ચર ઉડીને નજીકના ગામોમાં પડતા મકાનોને પણ મોટું નુકસાન થયું હતું અને સમગ્ર ગામ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
દુર્ઘટનાના પગલે આસપાસની કંપનીઓના કાચ પણ તૂટી જતા ચારે તરફથી નો માહોલ છવાયો હતો લોકોમાં ભય ઉભો થયો હતો.બનાવના પગલે એફએસએલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત હું પોલીસ અને વહીવટીતંત્રને જરૂરી સેમ્પલો લઈ તપાસનો દોર શરૂ કર્યો હતો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દુર્ઘટનામાં ઘાયલ કામદારો ની કંપનીની મુલાકાત લઈ સરકાર સામે તીખા પ્રહારો કર્યા હતા.સાથે ભરૂચની જ વિવિધ સંસ્થાઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કંપની સંચાલકોની લાપરવાહી થી દુર્ઘટના ઘટી હોવાના આક્ષેપ કરી તટસ્થ તપાસની માંગ કરી હતી અને ભરૂચ સમસ્ત માછીમાર સમાજ એ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં ફરિયાદ દાખલ કરતા કંપનીને ૨૫ કરોડનો દંડ તેમજ સમગ્ર ઘટનામાં તપાસ સમિતિની રચના કરવાનો આદેશ પણ આપ્યો હતો જે બાદ દહેજ મરીન પોલીસે આખરે જાતે જ ફરિયાદી બની
યશસ્વી કંપનીના પ્લાન્ટ હેડ મિતેશભાઈ છોટુભાઈ પટેલ,યુનિટ હેડ ધરમભાઈ મેઘજીભાઈ ઠુમ્મર,પ્રોડક્શન ઈન્ચાર્જ ભારત ભૂષણ ઉર્ફે ભરત રમેશચંદ્ર અગ્રવાલ,ડાઈમીથાઈલ સલ્ફેર નો ઈન્ચાર્જ આલોક પાંડા ફાયર અને સેફ્ટી હેડ યુનુસ પીરમોહંમદ અલીવાલ,મહેશ જીવણ ગલચર અને જેની ભૂલના કારણે દુર્ઘટના સર્જાય તે કર્મચારી અટલબિહારી રાજેન્દ્ર મંડળ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જે બાદ સાતેય કંપની ના અધિકારીઓ એ ભરૂચ કોર્ટ માં આગોતરા જામીન મુક્યા હતા.જે કોર્ટે ફગાવી દેતા ૭ પૈકી જેની ભૂલના કારણે દુર્ઘટના સર્જાય તે કર્મચારી અટલબિહારી મંડળ અને પ્રોડક્શન ઈન્ચાર્જ ભારત ભૂષણ ઉર્ફે ભરત રમેશચંદ્ર અગ્રવાલ ની પોલીસે ધરપકડ કરી હતી.તેઓ ની ધરપકડ બાદ બંને ના કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે પોઝીટીવ આવતા સારવાર અર્થે ખસેડી તેઓ ની ધરપકડ કરનાર ૫ પોલીસકર્મીઓને હોમ કોરન્ટાઈન કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર ઘટના માં અધિકારીઓની ધરપકડ ની કામગીરી ગોકુળગતિએ ચાલતી હોવાના પગલે લોકો માં પણ અનેક કુતુહલ જોવા મળી રહ્યા છે.તો હજુ પણ અન્ય આરોપીઓ ફરાર હોવાથી તેઓને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.