શાહપુરઃ પુર્વપ્રેમીએ ટીકટોક વીડિયો પતિને મોકલતાં બદનામીનાં ડરે મહિલાનો આપઘાત
મૃતક મહિલાનાં પિતાની ફરિયાદના આધારે પોલીસે આણઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી
અમદાવાદ: શહેરનાં શાહપુર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ થોડા સમય અગાઉ પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જાે કે હવે પરણીતાનાં પિતાએ તેનાં પૂર્વ પ્રેમી વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા નવો વળાંક આવ્યોછે. પૂર્વ પ્રેમી લગ્ન બાદ પણ ફોન અને વોઈસ મેસેજ કરીને તેને પરેશાન કરતો હતો. તેમ કરવાની ના પાડતાં તેણે છેલ્લો ટીકટોક વીડિયો બનાવવાનું કહ્યું હતું. જે પરિણીતાના પતિને મોકલી આપ્યો હતો. સમાજમાં આબરૂ જવાનાં ડરે છેવટે તેણે જીંદગી ટુંકાવી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અરુણભાઈ રાજપુત (પટના, બિહાર) ની ચોથા નંબરની દિકરી રચનાબેનનાં લગ્ન કાનપુર ખાતે રહેતાં રોનકસિંહ સાથે ગયા વર્ષે જ થયા હતા. લગ્ન બાદ રોનકસિહની બદલી થતાં તે પત્ની સાથે અમદાવાદ, શાહપુર ખાતે રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. રચનાબેનનાં લગ્ન થઈ ગયા હોવા છતાં તેમનાં જ ગામમાં રહેતો પૂર્વ પ્રેમી કનૈયાકુમાર પ્રમોદસિંહ રાજપુત અવારનવાર તેમને ફોન કરી પરેશાન કરતો હતો તથા રોનકસિંહને પણ ફોન કરી રચનાબેન વિશે વાતો કરતો હતો. કનૈયાને વારંવાર સમજાવવા છતાં તે ફોન તથા વોઈસ મેસેજ મોકલીને હેરાન કરતો હતો. જે અંગે તેમણે પિતા અરૂણભાઈએ પણ કનૈયાને સમજાવ્યો હતો. ઉપરાંત ફોન ઉપર પણ તમામે તેને કોન્ફરન્સમાં લઈ સમજાવતાં ઉશ્કેરાઈને તે ગાળો બોલવા લાગ્યો હતો.
દરમિયાનમાં કનૈયાએ ફોન કરી રચનાને ટીકટોક ઉપર એક છેલ્લો વીડિયો સાથે બનાવીને તેને સહારે જીંદગી જીવી લઈશ અને તને ભુલી જઈશ તેવી વાત કરી હતી. જેથી રચનાબેન વીડિયો બનાવવા તૈયાર થયા હતા. જાે કે કનૈયાએ એ વીડિયો રોનકસિંહને મોકલી આપ્યો હતો. જેથી રચનાબેન માનસિક રીતે પરેશાન થઈ ગયા હતા. જેના પગલે તેમનુ મગજ શાંત થાય એ માટે પતિ રોનકસિંહે રચનાબેનને તેમની બહેનનાં ઘરેજવા તથા મગજ શાંત કરવા કહ્યું હતું. પરંતુ બીજા દિવસે રોનકસિંહ ઓફિસે ગયા ત્યારે રચનાબેને સમાજમાં બદનામી થવાના ડરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. શાહપુર પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યા બાદ મૃતકનાં પિતા અરૂણભાઈએ ફરિયાદ નોધાવતા કનૈયા વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.