ભરૂચના ગણ્યા ગાંઠીયા કોંગ્રેસીઓ ચાર રસ્તાની મુલાકાતે : બિસ્માર માર્ગ મુદ્દે શહેરના કોંગ્રેસીઓનું મૌન
પાલિકા દ્વારા ટીમો બનાવી યુદ્ધના ધોરણે ગંદકી સાફ કરાવી પાવડર સહિતની કામગીરી કરી રહી છે : પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, તાજેતરમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણીની આવક થતા ડેમ માંથી નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું.જેના પગલે ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારો સહિત અંકલેશ્વર અને ઝઘડિયાના કાંઠા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.
તો બીજી બાજુ ભરૂચ શહેરના ફુરજા બંદર સ્થિતિ પાણીનો ભરાવો થતા ચાર રસ્તા સુધી પાણી ભરાયા હતા.જેના પગલે વેપારીઓની દુકાનો માં પાણી ભરાયા હતા.જેથી વેપારીઓને નુકશાન થવા પામ્યું છે.તો નર્મદા નદીમાં પૂરના પાણી ઓસરતા નિચાણવાળા વિસ્તારો માંથી પણ પાણી ઓસર્યા હતા.
પાણી ઓસરતાથી સાથે જ ભરૂચ નગર પાલિકા દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.તો ફુરજા બંદર સહિત ચાર રસ્તા ખાતે પાણી ભરાયા બાદ પાણી ઓસરતાના બીજા દિવસે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખીની આગેવાની માં ગણ્યા ગાંઠીયા કોંગ્રેસીઓએ દેખાવા પૂરતી મુલાકાત લીધી હતી.ત્યારે શહેરના અન્ય નિચાણવાળા વિસ્તારો પણ પૂરના પાણીના કારણે અસરગ્રસ્ત થયા છે.
તો તેઓની મુલાકાતે કોંગ્રેસીઓ હજુ ગયા નથી.ત્યારે માત્ર ચાર રસ્તાની કોંગ્રેસીઓની મુલાકત માત્ર એક સ્ટંન્સ્ટ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. ચાર રસ્તા ખાતે મુલાકાતે ગયેલા શહેર પ્રમુખ વિક્કી સોખીએ આ તબક્કે જણાવ્યું હતું કે પૂરની સ્થિતિ આવ્યા બાદ પાણી ઉતરી ગયા બાદ ગંદકી ઠેર ઠેર છે અને ફુરજા વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાના કારણે વેપારીઓને નુકશાન થાય છે અને ગરીબ લોકો ને પણ નુકશાન થાય છે.
જેથી વેપારીઓ માટે માંગણી કરી હતી કે આર્થિક સહાય મળે અને ગરીબો માટે કેશડોલ ની સરકાર સહાય કરે તેવી માંગ કરી હતી અને આક્ષેપ કર્યા હતા કે નગર પાલિકા દ્વારા માત્ર ચાર પણ માણસો કામ કરે છે તો શું નગર પાલિકા સૂતી છે.ત્યારે નગર પાલિકા ૪૦-૫૦ માણસો મોકલે અને ૪ થી ૫ પાણી ના બંબા મોકલે જેથી વહેલી ટકે આ ગંદકી દુર થાય તે માટે યુદ્ધના ધોરણે કામ કરે.
તો બીજી તરફ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું કે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જે બાદ પાણી ઉતરતા પાલિકા દ્વારા યુદ્ધ ના ધોરણે દાંડિયા બજાર,ભાગાકોટ,ફુરજા,ગાંધીબજાર સહીત વોર્ડ નંબર ૧૦ માં ૫૦ થી વધુ કામદારો,એક જે.સી.બી મશીન વડે ગંદકી દુર કરવામાં આવી રહી છે અને જ્યાં પાણીની જરૂર પડે ત્યાં ફાયર બંબાનો ઉપયોગ કરી પાણીનો છંટકાવ કરી ગંદકી દુર કરવામાં આવી રહી છે અને સાથે સાથે પાવડર,સેનીટાઈઝર અને ફોંગીગ સહીત ની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને શહેરના બિસ્માર માર્ગ માટે ખાડા પૂરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે અને વરસાદ બંધ થયા બાદ મુકવામાં આવેલા કામો ચાલુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દર ચોમાસામાં પહેલા જ વરસાદે શહેરના મુખ્ય માર્ગો બિસ્માર બની જતા હોય છે.જેના પગલે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો પડતો હોય છે.તો કેટલાક વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બને છે.તેમ છતાં ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટર અને પાલિકા સામે શહેરના કોંગ્રેસીઓ વિરોધ કરવાના બદલે મૌન સેવી રહ્યા છે.ત્યારે માત્ર ચાર રસ્તાની મુલાકાત લઈ કોંગ્રેસના હોદ્દેદારો ભેદભાવની નીતિ અપનાવતા હોય તેમ લાગી રહ્યુ છે.