Western Times News

Gujarati News

માથું કપાવી નાખીશ પણ બીજેપી સામે ઝુકીશ નહીં: મમતા બેનરજી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના કોલકાતામાં 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્રાની બોઝની જયંતી સમારોહ દરમિયાન થયેલા સૂત્રોચ્ચારની ઘટના પર સીએમ મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે હુગલીમાં એક જનસભાને સંબોધિત કરતા આ મુદ્દાને લઈને બીજેપી પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે હું બીજેપી સામે માથું ઝુકાવવાને બદલે પોતાનું ગળું કાપવાનું પસંદ કરીશ.

ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરીએ વિક્ટોરિયા મેમોરિયલમાં નેતાજી જયંતી સમારોહમાં મમતા બેનરજીએ ત્યારે ભાષણ આપવાની ના પાડી દીધી હતી જ્યારે ભીડમાં રહેલા લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ સમયે તેમણે કહ્યું હતું કે તે લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે મારું અપમાન કર્યું છે. હું બંદૂકોમાં નહીં પણ રાજનીતિમાં વિશ્વાસ રાખું છું. બીજેપીએ નેતાજી અને બંગાળનું અપમાન કર્યું છે.

મમતા બેનરજીએ કહ્યું કે જો તમે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જય કરી હોત તો હું તમને સલામ કરત પણ જો તમે મને બંદૂકની નાળચે રાખવાનો પ્રયત્ન કરો તો મને ખબર છે કે કેવી રીતે જવાબી હુમલો કરવાનો છે. તે દિવસ તેમણે (દર્શકોએ)બંગાળનું અપમાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.