Western Times News

Gujarati News

ભારે વરસાદથી દિલ્હીમાં જળબંબાકાર, મુંબઇના હાલ બેહાલ

નવીદિલ્હી, એનસીઆરમાં સવારથી જ ફરી એક વખત વરસાદ થયો હતો જે મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો કાળા અને ગાઢ વાદળોના કારણે અંધારૂ છવાયેલું રહ્યું હતું. સવારથી જ સૂરજના દર્શન થયા ન હતાં અને રસ્તાઓ પર ગાડીઓની ઝડપ ધીમી પડી ગઈ હતી આ બધા વચ્ચે ભારે વરસાદના કારણે સવાર-સવારમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે.

હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.વરસાદના કારણે સવારે ઓફિસ જવા માટે નીકળતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.

વરસાદના કારણે દિલ્હીના એઈમ્સ ફ્લાયઓવર, હયાત હોટેલ પાસે રિંગ રોડ પર, સાવિત્રી ફ્લાઈઓવરની બંને બાજુ, મહારાની બાગ, ધૌલા કૂવાથી ૧૧ મૂર્તિના રસ્તે, શાહજહાં રોડ, આઈટીઓના ડબ્લ્યુ પોઈન્ટ, લાલા લજપત રાય માર્ગ અને મૂળચંદ અંડરપાસ પાસે પાણી ભરાવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતોભારતીય હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દિલ્હી, એનસીઆર-ગુરૂગ્રામ, માનેસર, ફરીદાબાદ, વલ્લભગઢ, તોશામ, ભિવાની, ઝજ્જર, નારનૌલ, મહેન્દ્રગઢ, કોસલીના અલગ-અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો મેરઠમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. ઉપરાંત યુપીના અનેક વિસ્તારોમાં પૂરનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. ગોંડા ખાતે સરયૂનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળી રહ્યું છે અને અનેક ગામડાઓ તબાહ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાથી પાક નષ્ટ થયા છે અને લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે.

ગુવાહાટીમાંથી પસાર થતી બ્રહ્મપુત્ર નદી હવે જાેખમના નિશાનની ઉપર વહી રહી છે. આસામ અને તેને અડીને આવેલા પહાડી રાજ્યોમાં વરસી રહેલા વરસાદના કારણે સ્થિતિ બદતર થઈ રહી છે. પાણીનું લેવલ વધવાના કારણે બ્રહ્મપુત્રમાં હોડીઓની અવર-જવર બંધ છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ પ્રમાણે આસામના ૨૧ જિલ્લાઓમાં પૂરના પ્રકોપને કારણે ૩ લાખ કરતા વધારે લોકો પૂરથી પ્રભાવિત છે.

દિલ્હી ઉપરાંત મુંબઈ પણ મોડી રાતથી વરસી રહેલા વરસાદના કારણે જળબંબાકાર છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સવારે કામ પર જવા નીકળનારા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદે પાછલા અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જલગાંવમાં દુકાનો અને મકાનો તબાહીનો ભોગ બન્યા છે અને રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. લોકો કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. જલગાંવના ૪૦ ગામોમાંથી પસાર થતી તિતૂર નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાતા આજુબાજુના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.