Western Times News

Gujarati News

આખું નેત્રંગ ગામ ખાડામાં ગરકાવ થયું : રોડ-રસ્તાઓનો વિકાસ ગાંડો થયો

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

વરસાદી પાણીમાં એકથી બે ફુટ ઉંડા ખાડા પડ્યા : હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરાયોઃ રોજેરોજ અકસ્માતની બનતી ઘટના છતાં માર્ગ અને મકાન વિભાગ નિદ્રાધીન.
(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનનો સામાન્ય જ વરસાદ થયો છે.પરંતુ નેત્રંગ ગામને જોડતા ચારેય દિશાના રસ્તાની નિર્માણની કામગીરીમાં નકરો ભ્રષ્ટાચાર કરાયો છે.માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની સાંઠગાંઠથી જવાબદાર કોન્ટ્રાક્ટરે હલકીકક્ષાના મટીરીયલનો ઉપયોગ કરીને રસ્તાના નિર્માણની કામગીરી કરાઈ હતી.જેનું વરસાદી પાણીમાં ભારે ધોવાણ થયું હતું.જેથી નેત્રંગ ગામ આખું ખાડા માં ગરકાવ થયું હોય તેમ લાગી રહ્યું છે.
નેત્રંગ માંથી અંબાજી – ઉમરગામ અને અંકલેશ્વર – બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે.રાત-દિવસ હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર ધમધમે છે.સામાન્ય વરસાદી પાણીથી જ રસ્તા ઉપર એકથી બે ફુટ ઉંડા ખાડા પડી જવાથી રોજેરોજ ગમખ્વાર અકસ્માતની ઘટના બને છે.વાહન ચાલકોની મામુલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.પરંતુ જવાબદાર માર્ગ અને મકાન વિભાગ કુંભકર્ણની નિદ્રા અવસ્થામાં જણાઈ રહ્યું છે.
પ્રાથમિક સમારકામની કામગીરી કરવામાં નહીં આવતા વાહન ચાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.તંત્ર જાણે મોટી હોનારત અને ગમખ્વાર અકસ્માતની ઘટનાની રાહ જોતું હોય તેવું જણાઈ રહ્યું છે.તાત્કાલિક ધોરણે રોડ – રસ્તા ઉપર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.