Western Times News

Gujarati News

અંબાજીમાં ચઢાવવામાં આવેલા ચાંદીના મોટાભાગના આભૂષણો નકલી

ભંડારમાં રહેલા આ આભૂષણની જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાથી મોટાભાગના નકલી હોવાનું સામે આવ્યું હતું.

બનાસકાંઠા, આરાસુરમાં બિરાજમાન જગતજનની મા અંબા પ્રત્યે લાખો ભક્તોની આસ્થા જાેડાયેલી છે. ખાસ કરીને ભાદરવી પૂનમ પર માતાજીના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી ભક્તોની ભીડ ઉમટતી હોય છે. કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સરકારે ભાદરવી પૂનમનો મેળો બંધ રહ્યો હતો, પરંતુ આ દરમિયાન બાધા-આખડીવાળા ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાયા હતા.

ભાદરવી પૂનમ પર ૬ લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. ભક્તોએ માતાજીના ભંડારમાં ચાંદીના આભૂષણ પણ ચડાવ્યા હતા, જેમાંથી મોટાભાગના નકલી હોવાનું સામે આવ્યું છે.

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતો હોય છે અને સાત દિવસના મેળામાં લાખો ભક્તો ઉમટતા હોય છે.

જાે કે, મહામારીન ધ્યાનમાં રાખીને મેળાનું આયોજન રદ્દ કરાયું હતું જ્યારે બાધા, આખડીવાળા ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાયા હતા. ૬ દિવસ એટલે કે ૧૫ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં અંબાજી ખાતે ૫થી ૬ લાખ ભક્તો પહોંચ્યા હતા.

તેમાંથી મોટા ભાગના લોકોએ પોતાની બાધા પૂરી કરવા માટે માતાજીના ભંડારમાં ચાંદીના છત્તર, ત્રિશુલ, ખાખર જેવા અનેક આભૂષણો ચડાવવામાં આવ્યા હતા.

જાે કે, ભંડારમાં રહેલા આ આભૂષણની જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાથી મોટાભાગના નકલી હોવાનું સામે આવ્યું હતું. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના સોના-ચાંદીની ગણતરી કરનારના જણાવ્યા પ્રમાણે, મંદિરમાં આવતા મોટાભાગના ચાંદીના આભૂષણો નકલી હોય છે.

અંબાજીની પ્રસાદ પૂજાપાઠની દુકાનમાંથી આભૂષણો ભક્તોને ચાંદીના ભાવ કરતા પણ વધુ એટલે કે ૬૦થી ૭૦ હજાર રૂપિયા કિલોના ભાવે આપવામાં આવતા હોય છે.

આ અંગે વાત કરતાં કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ‘આભૂષણો જે નકલી નીકળ્યા છે તે અંબાજી મંદિરના ભંડારામાં મૂકવામાં આવ્યા છે. તેથી કયા ભક્તે મૂક્યું છે તે નક્કી કરી શકાય નહીં. જાે કોઈ ભક્ત દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવશે તો તે તેણે જ્યાંથી ખરીદ્યું હશે તે વિસ્તારના વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી તેની સામે યોગ્ય તપાસ કરવામાં આવશે’ SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.