કોંગ્રેસ છોડવા અમરિંદરસિંહ મક્કમ; ચૂંટણી પહેલા નવી પાર્ટી લોન્ચ કરશે
ચંદીગઢ, કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગવાનો છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. વાતચીતમાં અમરિંદર સિંહે કોંગ્રેસ છોડવાની અટકળોની પૃષ્ટિ કરી છે. આ સાથે જ અટકળોનો અંત લાવતા તેમણે કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાશે નહીં.
આ પરથી લાગી રહ્યું છે કે અમરિંદર સિંહ આવતા વર્ષે થનારી પંજાબની ચૂંટણી પહેલા નવી પાર્ટી લોન્ચ કરી શકે છે. અમરિંદર સિંહે ૧૮મી સપ્ટેમ્બરના રોજ પંજાબ કોંગ્રેસના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ હતું. અમરિંદરે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, હું અત્યાર સુધી કોંગ્રેસમાં છુ પણ આગળ નહીં રહુ.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમરિંદર સિંહે નવી દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાશે તેવી અટકળો ચાલી રહી હતી.અમરિંદર સિંહે કહ્યું કે, હું આ પ્રકારનો વ્યવહાર સહન ના કરી શકું. ૫૦ વર્ષ પછી મારી વિશ્વસનીયતા પર શંકા કરવામાં આવી રહી છે.
આ અસહ્ય છે. અમરિંદર સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જે પ્રકારે મારી સાથે કોંગ્રેસમાં વ્યવહાર થયો તે અપમાનજનક છે. સાડા દસ વાગ્યે હાઈકમાન મને ફોન કરે છે કે તમે રાજીનામુ આપી દો.
મેં એક પણ વાર પૂછ્યું નહીં કે કેમ, મેં તરત રાજીનામુ લખીને ચાર વાગ્યે રાજ્યપાલને આપી દીધું. જાે ૫૦ વર્ષ પછી પણ મારી વિશ્વસનીયતા પર શંકા થાય છે તો પછી કંઈ બાકી નથી રહ્યું.