Western Times News

Gujarati News

વિચરતી વિમુકત જાતિના ઘરવિહોણા ૩૩ લાભાર્થીઓને ઘરનું કાયમી સરનામું મળ્યું

બનાસકાંઠાના ૩૩ ભરથરી લાભાર્થીઓને માત્ર પાંચ દિવસમાં વિનામૂલ્યે ઘરથાળ પ્લોટની ફાળવણીથી ‘જે કહેવું તે કરવું’ની કાર્યસંસ્કૃતિ સાકાર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

(માહિતી બ્યુરો, પાલનપુર) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આસો નવરાત્રીની અષ્ટમીના પાવન દિવસે આદ્યશક્તિધામ અંબાજીમાં વિચરતી અને વિમુક્ત જાતિના ૩૩ ભરથરી લાભાર્થીઓને વિનામૂલ્યે આવાસના પ્લોટ ફાળવી નવલી નવરાત્રિની અનોખી ભેટ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ ૨૦૨૨ સુધીમાં સૌને માથે આવાસ છત્રનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં આવા વંચિત પરિવારોને પણ આવરી લેવાની આગવી સંવેદના દર્શાવી છે.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યાત્રાધામ અંબાજીમાં ગબ્બર તળેટીમાં વર્ષોથી કામ ચલાઉ-કાચા આવાસોમાં વસવાટ કરતા આ વિચરતી જાતિના ભરથરી પરિવારોને આવાસ માટેની જમીનની સનદનું વિતરણ કરી તેમને કાયમી સરનામું આપવાનું અને પોતીકા ઘરનું સપનું સાકાર કરાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ દાંતા તાલુકાના કુંભારિયા ગામના સરવે નંબર ૧૩૬માં ૩૩ ભરથરી લાભાર્થીને પ્રત્યેકને ૮૦ ચોરસ મીટરનો ઘરથાળ પ્લોટ ફાળવતા તેને નવરાત્રી પર્વે “શિવશક્તિ વસાહત” નામાભિધાન પણ કર્યું છે. તેમણે આ સનદ વિતરણ સાથોસાથ આવાસ નિર્માણ માટેની રાજ્ય સરકારની સહાયના કુલ ૪૦ લાખની સહાયના ચેક પણ લાભાર્થીઓને અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ લાભાર્થીઓને આસો નવરાત્રીએ મળી રહેલી વિનામૂલ્યે ઘરના ઘરની ભેટને આનંદની ઘડી ગણાવતા કહ્યું કે, સરકારે વિચરતી વિમુક્ત જાતિની વેદના સમજી તેનું નિવારણ લાવવાનો સફળ સેવાયજ્ઞ આવાસ માટે જમીન ફાળવણીથી આદર્યો છે. શ્રી ભૂપેંદ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ આ આવાસ માટેના પ્લોટની ફાળવણીની સમગ્ર પ્રક્રિયા માત્ર પાંચ જ દિવસમાં પુરી કરી તેને ‘જે કહેવું તે કરવું’ની કાર્ય સંસ્કૃતિની પરિચાયક ગણાવી હતી.

લાભાર્થી ભરથરી પરિવારોએ પોતાની પરંપરાગત વાદ્યકળા રાવણહથ્થાથી મુખ્યમંત્રીશ્રીનું અદકેરું અભિવાદન કરી પોતાને આંગણે આવેલા અવસરની ખુશી વ્યક્ત કરી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે પંડિત દીનદયાળ આવાસ યોજના અન્વયે પાછલા એક દશકમાં વિકસતિ જાતિના ૧ લાખ ૮૨ હજાર લાભાર્થીઓને આવાસ સહાયની રૂ. ૫૧૩ કરોડની રકમ આપી છે.

વિચરતી અને વિમુક્ત જાતિના ૨૧૨૬૪ લાભાર્થીઓને આ દસ વર્ષ દરમિયાન આવાસ સહાય આપીને પોતીકા ઘરનું સપનું સાકાર કરાવ્યું છે. એટલું જ નહીં, મહેસૂલ વિભાગમાં મારફતે આવા ૩૦૬૧ લાભાર્થીઓને વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ ફાળવવામાં આવેલા છે. મુખ્યમંત્રીશ્રીએ આ સનદ વિતરણ પૂર્વે આદ્યશક્તિ ભક્તિભાવપૂર્વક અંબાજીના દર્શન-પૂજા કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.