ગાંધીનગર બાળ સંરક્ષણ ગૃહમાંથી ત્રણ કિશોરો ગુમ થયાની ફરિયાદ
અજાણ્યા ઈસમ દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા
ગાંધીનગરના સેક્ટર-૧૭ ખાતે આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી ગઈ મોડીરાત્રે બાદ ત્રણ કિશોરો જતા રહ્યા હોવાની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથક ખાતે નોંધાવા પામી છે.
બાળ સંરક્ષણ ગૃહ ખાતે ફરજ બજાવતા મેહુલભાઈ ભીખુભાઈ તેરૈયા દ્વારા જણાવાયેલી હકીકત અનુસાર ગઈકાલે એટલે કે મંગળવારની મધ્યરાત્રિ બાદ ત્રણ કિશોર પાછળના ભાગેથી જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સેક્ટર 21 પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર પાછળની બારીની જાળીને નુકસાન પહોંચાડીને આ ત્રણ કિશોરો જતા રહ્યા હોય અથવા તો તેનું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકાવ્યક્ત કરવામાં આવેલી છે.
આ અંગે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથક દ્વારા ત્રણેય બાળકોને શોધી કાઢવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બાળક અહીંથી ગુમ થયા હોવાના કિસ્સા બનવા પામ્યા હતા.