Western Times News

Gujarati News

બુલેટટ્રેન પ્રોજેકટ માટે વધુ રપ૬૬ વૃક્ષો કપાશેઃ ૧૮૩ રી-પ્લાન્ટ કરવામાં આવશે

Files Photo

મેટ્રો અંતર્ગત ૧પ૪૦ વૃક્ષ કપાયાઃ ૭પ૦ રી-પ્લાન્ટ થયા : મનપાએ પાંચ વર્ષમાં
૭પ૦૦ વૃક્ષો કાપવા મંજૂરી આપી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકા દરમ્યાન વિકાસના અનેક કામો થયા છે. જેનો લાભ શહેરીજનોને મળી રહયો છે. પરંતુ શહેરને સાંધાંઈ કે સિંગાપોર બનાવવાની લ્હાયમાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ “વિકાસ” આડ અસર સામે આંખ અસર સામે આંખ આડા કાન કરી રહયા છે. તથા શહેરને સિમેન્ટ-ક્રોકીટનું જંગલ બનાવી રહયા છે. મ્યુનિ.કોર્પોરેશન રાજય સરકાર કે કેન્દ્ર સરકારના “ડ્રીમ પ્રોજેકટો” ને પૂર્ણ કરવા માટે મોટા પાયે વૃક્ષો કપાઈ રહયા છે.

“મિશન મીલીયન ટ્રીઝ” (mission million trees project) જેવા પ્રોજેકટોના પ્રચાર કરીને વૃક્ષો ના થઈ રહેલ નિકંદન ને છુપાવવા માટે નિર્થક પ્રયાસ થતા હોય તેમ લાગી રહયું છે. બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ૧૩૦૦ વૃક્ષ કપાયા છે તથા વધુ રપ૬૬ માટે મંજૂરી માંગવામાં આવી છે. શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં વિવિધ પ્રોજેકટો માટે ૭પ૦૦ જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે.તે પૈકી લગભગ ૯૦૦ વૃક્ષોને રિ-પ્લાન્ટ (900 replanted trees) કરવામાં આવ્યા છે. “હરિયાળી ક્રાંતિ” લાવવા માટે સ્વ-પ્રચાર કે રૂપિયાના આંધણ કરવાના બદલે વૃક્ષોને કપાતા બચાવવા તરફ ધ્યાન આપવામાં આવે તેવી વ્યાપક માંગણી પણ થઈ રહી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન Ahmedabad Municipal Corporation દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝનમાંએક લાખ વૃક્ષ લગાવવામાં આવે છે. ચાલુ વર્ષે કમીશ્નરે દસ લાખ રોપાનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે ૧૪ લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા છે. જે એક સારી બાબત છે. પરંતુ જે રોપા લગાવવામાં આવે છે. તેની સામે માંડ ર૦ ટકા રોપાનો જ ઉછેર થાય છે. જયારે ૮૦ ટકા રોપા બળી જાય છે.

વર્ષ

મંજુરીથી કાપવામાં આવેલ વૃક્ષ

મેટ્રો પ્રોજેક્ટ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

૨૦૧૫-૧૬

૭૧૮ 

૭૮ 

૨૦૧૬-૧૭

૮૫૫ 

૩૩૧ 

૨૦૧૭-૧૮ 

૨૨૫૯

૨૭૭ 

૧૭૭

૨૦૧૮-૧૯ 

૭૫૯ 

૭૬૫ 

૧૧૦૨

૨૦૧૯-૨૦ 

૧૨૬ 

૮૯ 

૨૫૬૬
(મંજૂરી માગવામાં આવેલ છે)

કુલ 

૪૭૧૭ 

૧૫૪૦ 

૧૨૭૯

નોંધઃ- મંજૂરી માગવામાં આવેલ ૨૫૬૬ ઝાડોની ગણતરી  સરવાળામાં લીધી નથી.

આ બાબત સર્વવિધ્ન છે. મ્યુનિ.કમીશ્નરે ચાલુ વર્ષે જે રોપા લગાવવામાં આવ્યા છે. તે પૈકી ૭૦ ટકાનો વ્યવસ્થિત ઉછેર થશે તેવી જાહેરાત કરી છે. પરંતુ ઉપલબ્ધ પ૦ કે ૬૦ વર્ષ જુના વૃક્ષોને બચાવવા માટે કમીશ્નરે કોઈ જ એકશન પ્લાન તૈયાર કર્યા નથી.તેના કારણે દર વર્ષે બે હજાર કરતા વધુ જુના વૃક્ષો કાપવામાં આવી રહયા છે. જેની મંજૂરી મ્યુનિ.કમીશ્નર જ આપી રહયા છે. જનમાર્ગ મેટ્રો (Janmarg, Metro train Project, Bullet Train) , બુલેટટ્રેન, મનપાના પ્રોજેકટો તથા બિલ્ડરોને સાચવવા માટે આર્શીવાદ સમાન વૃક્ષો કપાઈ રહયા છે.

મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોના જણાવ્યા મુજબ ર૦૧પ-૧૬ થી ઓગષ્ટ-ર૦૧૯ સુધી લગભગ ૭પ૦૦ જેટલા વૃક્ષ કાપવાની મંજૂરી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે. મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે અંદાજે ૧૪૦૦ વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. જયારે બુલેટટ્રેન પ્રોજેકટ માટે કાળી ગામથી કાલુપુર સુધીના બેલ્ટ માટે ૧ર૮૦ વૃક્ષ કાપવામાં આવ્યા છે.

જયારે વટવા-ગેરતપુર સુધીના બેલ્ટ માટે વધુ રપ૬૬ વૃક્ષો કાપવા માટે મંજૂરી માંગવામાં આવી છે. બુલેટટ્રેન અને મધ્યઝોનમાં રપ૩ વૃક્ષો કપાયા છે. જયારે જે રપ૬૬ વૃક્ષ કાપવા માટે મંજૂરી માંગવામાં આવી છે. તેમાં મહત્તમ દક્ષિણઝોનના છે. બુલેટટ્રેન સત્તાવાળાઓ દ્વારા રપ૬૬ પૈકી ૧૮૩ વૃક્ષોને રી-પ્લાન્ટ કરવા માટે ખાત્રી આપવામાં આવી છે. તથા અગાઉ જે ૧ર૭૯ વૃક્ષ કાપવામાં આવ્યા છે. તેવાં પણ શકયતા હશે તો કેટલાક વૃક્ષને રી-પ્લાન્ટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

શહેરમાં ચાલી રહેલા મેટ્રો પ્રોજેકટથી મ્યુનિ. વહીવટીતંત્ર અને નાગરીકો ત્રસ્ત થઈ ગયા છે. મેટ્રો પ્રોજેકટે પણ ૧પ૦૦ કરતા વધુ લીલાછમ, ઘટાદાર વૃક્ષોનો ભોગ લીધો છે. બુલેટટ્રેન પ્રોજેકટ માટે માત્ર ત્રણ ઝોનમાંથી વૃક્ષો કાપવામાં આવશે. જયારે મેટ્રોને તમામ ઝોનમાંથી વૃક્ષો કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. મેટ્રો અંતર્ગત દક્ષિણઝોનમાં સૌથી વધુ ૪૧૩ વૃક્ષ કપાયા છે. જયારે પૂર્વઝોનમાં ર૭૮ વૃક્ષ કાપવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટ તથા બિલ્ડરોની માંગણી ને ધ્યાનમાં લઈ ૪૭૧૭ વૃક્ષ કાપવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ ઓગષ્ટ સુધીના સમયગાળા દરમ્યાન પશ્ચિમઝોનમાં સૌથી વધુ વૃક્ષ કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિ.કમીશ્નરે પશ્ચિમઝોનના બિલ્ડરોની માંગણી કે પછી તંત્રના પ્રોજેકટો માટે ર૦૧પ-૧૬ માં ૮૧, ર૦૧૬-૧૭ માં ૧૮૬, ર૦૧૭-૧૮માં ૧પ૭૦, ર૦૧૮-૧૯ માં ર૯૪ વૃક્ષો કાપવા માટે મંજૂરી આપી છે.

આમ પાંચ વર્ષમાં ૪૭૧૭ વૃક્ષ મંજૂરીથી કાપવામાં આવ્યા છે. તે પૈકી માત્ર પશ્ચિમઝોનમાં જ ર૧૩૧ વૃક્ષ કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે.મ્યુનિ.કમીશ્નરે કયા-પ્રોજેકટો કે બિલ્ડરો માટે આ મંજૂરી આપી છે તે બાબત અધ્યાહાર છે.

મ્યુનિ.પાર્કસ એન્ડ  ગાર્ડન વિભાગના પ્રયાસો ના કારણે મેટ્રો પ્રોજેકટઅંતર્ગત જે ૧પ૪૦ વૃક્ષ કાપવામાં આવ્યા છે. તે પૈકી ૭પ૦ વૃક્ષને રી-પ્લાન્ટ કરવામાં આવ્યા છે. જી.એમ.ડી.સી.રોડથી વસ્ત્રાપુર તરફ જવાના રોડપર પ૦ વૃક્ષ અને અગિયારસ માતાના મંદીર (વાડજ) વિસ્તારમાં વૃક્ષો રી-પ્લાન્ટ કરવામાં આવ્યા છે. જે આવકારદાયક બાબત છે. બુલેટટ્રેનમાં પણ વધુમાં વધુ વૃક્ષ રીપ્લાન્ટ થાય તેવા પ્રયાસ થઈ રહયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.