પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર બાદ આઝાદ પણ નવો પક્ષ રચશે
નવીદિલ્હી, આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ અનેક રાજ્યોમાં પડકારી શકે છે તેવા સંકેતને કારણે ભારતીય જનતા પક્ષે હવે કોંગ્રેસના નેતાઓને સામ-દામ-દંડ-ભેદથી ભાજપમાં સામેલ કરવાની વ્યૂહ રચનાના પગલે હવે કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અલગ પક્ષ રચે અને ભાજપ સાથે જાેડાણ કરે તેવી વ્યૂહ રચના અપનાવી છે.
પંજાબમાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહને કોંગ્રેસ પક્ષે તેમના હોદા પરથી હટાવ્યા અને હવે કેપ્ટને પોતે નવો પક્ષ રચી દીધો છે અને ભાજપ સાથે પંજાબમાં ચૂંટણી જાેડાણ કરશે.
પંજાબમાં ભાજપને કોઇ સાથીદારની જરુર હતી. અકાલી દળથી અલગ પડયા બાદ ભાજપનું અહીં અસ્તિત્વ શૂન્ય જેવું છે અને તેમાં કેપ્ટન ભાજપની સાથે જાેડાઈ તો પક્ષને રાજ્યમાં એક શીખ નેતા મળવા ઉપરાંત ચૂંટણી લડવા માટે બળ પણ મળશે તેવા સંકેત છે.અને તેથી જે કેપ્ટનને ભાજપમાં સમાવ્યા વગર તેમને અલગ પાર્ટી રચવા અને સાથોસાથ શીખ સમુદાય પર કેપ્ટનના પ્રભાવનો લાભ લેવાનો વ્યૂહ ઘડયો છે અને આ વ્યૂહ જમ્મુ-કાશ્મીરમાં આગળ વધારી રહી છે.
કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે અગાઉ પણ સોનિયા અને ગાંધી પરિવારના નેતૃત્વ સામે મોરચો માંડયો હતો. અને અસંતુષ્ટમાં તેમનું સ્થાન આવી ગયું હતું. કોંગ્રેસના જે ૨૩ નેતાઓ જેને જી-૨૩ તરીકે ઓળખાવાયા તેમાં આઝાદ ટોચના સ્થાને હતા.અને માનવામાં આવે છે કે થોડા દિવસમાં તેઓ પણ કાશ્મીરમાં નવો રાજકીય પક્ષ રચશે અને ભાજપ સાથે જાેડાણ કરશે.
જમ્મુ-કાશ્મીરમાં ખાસ કરીને ખીણ વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ નહીં છે અને ગુલામ નબી આઝાદ ભાજપને તેમાં મદદરુપ થઇ શકે છે અને આથી જ આઝાદને ભાજપે પોતાની સાથે લેવાનો વ્યૂહ તૈયાર કર્યો છે. અગાઉ પણ આઝાદની રાજ્યસભામાં નિવૃતિ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતીઅને આઝાદે પણ જાહેરમાં મોદીના વખાણ કર્યા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ જાે કે ગુલામ નબી આઝાદ તાત્કાલીક કોઇ નવો પક્ષ રચશે નહીં પણ પોતાની તાકાત મજબૂત કરીને નવો પક્ષ રચી ભાજપ સાથે જાેડાશે. તેમને આ માટે લગભગ એક ડઝન જેટલી મીટીંગો પણ કરી દીધી છે. અને હાલમાં એક પ્રશ્નના જવાબમાં તેમણે રાજકારણમાં ભવિષ્યમાં શું થશે તે અંગે કાંઇ કહી શકાય તેવો ગોળ-ગોળ જવાબ આપ્યો હતો.HS