પરમબીર સિંહ છે મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા કેસનો માસ્ટરમાઈન્ડ: પૂર્વ ગૃહપ્રધાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Anil-Deshmukh.jpg)
મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે ઈડીને જણાવ્યું કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ મનસુખ હિરેન હત્યા અને એન્ટીલિયા કેસનો માસ્ટરમાઈન્ડ છે. તેમને એ પણ કહ્યું કે પરમબીર સિંહે ખોટી જાણકારી આપી અને તથ્યોને છુપાવ્યા છે.
ઈડીને આપવામાં આવેલા નિવેદનમાં દેશમુખે કહ્યું કે જ્યારે પરમબીર સિંહને કેસની જાણકારી લેવા માટે વિધાનભવન અને સીએમ આવાસ પર બોલાવવામાં આવ્યા તો તેમને સાચી જાણકારી ના આપી.
અનિલ દેશમુખે કહ્યું કે પરમબીર સિંહ દ્વારા તેમની પર લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા અને ખોટા છે. તેમને કહ્યું કે પરમબીર સિંહ અને સચિન વાજે ખુબ નજીક હતા. દેશમુખે ઈડીને જણાવ્યું કે સિંહ જબરદસ્તીથી વસૂલીનું કામ સચિન વાજેને આપતા હતા.
મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર આરોપ મૂક્યો હતો કે તેમણે બરતરફ કરવામાં આવેલા આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વાજેને મુંબઈની હોટલ અને બારમાંથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું.
ઈડીએ દેશમુખ અને અન્યની સામે સીબીઆઈ દ્વારા તેમની વિરૂદ્ધ દાખલ ભ્રષ્ટાચાર મામલાના આધાર પર કેસ દાખલ કર્યો હતો. તેની વચ્ચે એનઆઈએએ મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની પાસે ઉભેલી એક કારમાંથી વિસ્ફોટક મળવાની તપાસના મામલે માર્ચ ૨૦૨૧માં બરતરફ કરેલા મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કરી હતી.
વાજે પર એન્ટીલિયાની બહાર વિસ્ફોટક સામગ્રીવાળા વાહનના માલિક મનસુખ હિરેનની હત્યાનો પણ આરોપ લગાવ્યો હતો. હિરેન ૫ માર્ચે થાણેમાં મૃત હાલતમાં મળ્યા હતા.ત્યારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે એક મોટો ખુલાસો કર્યો છે.
તેમને કહ્યું કે સસ્પેન્ડ કરાયેલા સચિન વાજેને ફરી પરત લાવવા માટે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના સીધા દબાણ હેઠળ હતા.
સચિન વાજે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહાર વિસ્ફોટક ગાડી રાખવા અને તે ગાડીના માલિક મનસુખ હિરેનની હત્યાના મામલે મુખ્ય આરોપી છે. પરમબીર સિંહે આ ખુલાસો ઈડી દ્વારા પૂછપરછમાં કર્યો. પરમબીર સિંહે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે સચિન વાજેને શિવસેનામાં સામેલ કર્યા બાદ તેમને મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવાનું દબાણ હતું.HS