GSTમાં નીલ રીટર્ન ફાઈલ કરવાની સીસ્ટમમાં સુધારો કરતા વેપારીઓને રાહત
(એજન્સી)સુરત, સમગ્ર માસ દરમ્યાન વેપાર નહીં થયો હોય તેવા વેપારીઓએ જીએસટીમાં નીલ રીટર્ન ફાઈલ કરવામાં હાલની સીસ્ટમમાં સુધારો કરીશને વધુ સરળ બનાવવામાં આવી છે. તેમજ તેનો અમલ પોર્ટલ પર આજથી કરી પણ દેવામાં આવ્યો છે. જેથી વેપારી એક કલીક કરતાની સાથે જ પોતાનું નીલ જીએસટી રીટર્ન સરળતાથી ફાઈલ કરી શકશે.
જીએસટીમાં નીલ રીટર્ન ફાઈલ કરવા માટે પહેલા જીએસટીઆર ૧ પર કલીક કર્યા બાદ સમરી જનરેટ કરવા માટેની કાર્યવાહી કરવી પડતી હતી. જેથી વેપારીને તેના માટે પથી૧૦ મીનીટ સુધી રાહ જાેવી પડતી હતી. સમરી જનરેટ થયા બાદ તેના પર કલીક કર્યા પછી વેપારીના રજીસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવતો હોય છે.
તે ઓટોપી લખ્યા બાદ કલીક કરવાથી જીએસટી રીટર્ન નીલ ફાઈલ થતું હતું. તેના બદલે હવે વેપારીને નીલ રીટર્ન ફાઈલ કરવા માટે જીએસટી પોર્ટલ પર જ સુવિધા આપીને નીલ રીટર્ન ફાઈલ કરવા પર કલીક કરતાની સાથે જ વેપારીને ઓટીપી મળી જશે. આ ઓટીપી કલીક કર્યા બાદ નીલ રીટર્ન ફાઈલ કરી શકાશે.
આ અંગે ટેક્ષ કન્સલ્ટન્ટ પાવન શાહે જણાવ્યું હતું કે જીએસટી પોર્ટલ પર આ સુધારો આજથી અમલમાં મુકી દેવામાં આવ્યો છે. જેના કારણે ચાલુ માસમાં જુલાઈનું જે રીટર્ન ભરવાનું હોય તેમાં વેપારીઓને સરળતા રહેવાની છે. કારણ કે નીલ રીટર્ન ભરનારા વેપારીઓની પોર્ટલ પર જઈને એક કલીક કર્યા બાદ મોટાભાગની કામગીરી ઓનલાઈન જ થઈ જવાની છે.