Western Times News

Gujarati News

અંગદાનથી અજાણ પશુપાલક પુત્રોને અંગદાનની સમજ અપાતા બ્રેઇનડેડ માતાના અંગોનું દાન કર્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન-કચ્છના ખમાબા જાડેજા અને જામનગરના શંકરભાઇ કટારાના અંગદાન થી પીડિત દર્દીઓનું જીવન બદલાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના બે બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન થી 6(છ) પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. 22 અને 23 મી ઓગસ્ટના રોજ બ્રેઇનડેડ થયેલ બે દર્દીઓના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કરતા કુલ ચાર કિડની અને બે લીવરનું દાન મળ્યું છે.

અંગદાનમાં મળેલી ચાર કિડની અને એક લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીઓમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવી છે.જ્યારે એક લીવરને સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

અંગદાન શું હોય છે… તેનું મહત્વ શું છે …તે કેવી રીતે કરવામાં આવે છે તે તમામ વિગતોથી આજે પણ ઘણાંય લોકો અજાણ છે. આવું જ કંઇક હતું કચ્છના પશુપાલક જાડેજા પરિવારજનોના કિસ્સામાં . કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયા ગામમાં ઘેટા-બકરા ચરાવતા અને પશુપાલન સાથે જાડાયેલ જાડેજા પરિવારના પુત્રો અંગદાન કે પ્રત્યારોપણ વિશે ક્યારેય સાંભળ્યું પણ ન હતું કે જોયું પણ ન હતું.

19 મી ઓગસ્ટ ના રોજ જાડેજા પરિવારના 50 વર્ષીય ખમાબા જાડેજા ઢળી પડતા માથાના ભાગમાં તેઓને ગંભીર ઇજાઓ થઇ હતી. સધન સારવાર અર્થે જ્યારે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તબીબોએ દિવસ-રાત અથાગ પરિશ્રમ થી તેમનો જીવ બચાવવાના તમામ પ્રયત્નો હાથ ધર્યા. 22મી ઓગસ્ટના રોજ તબીબો દ્વારા અંતે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.

બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે તેમના પરિવારજનોને બ્રેઇનડેડ એટલે શું તે અંગેની કોઇપણ પ્રકારની જાણ ન હતી. ત્યારબાદ અંગદાન શું હોય છે અંગદાનનું મહત્વ શું છે તેનાથી પણ તેઓ અજાણ હતા.

પશુપાલન કરીને જીવનનિર્વાહ કરતા જાડેજા પરિવારના પુત્રોને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અંગદાન અંગેની સવિસ્તૃત સમજ આપવામાં આવી.તેનું મહત્વ સમજાવવામાં આવ્યુ. પરિવારજનોને એટલું તો ખબર પડી ગઇ કે આ એક દાન છે જેના થકી કોઇ વ્યક્તિને નવું જીવન મળે છે. આપણું સ્વજન તો આપણે ગુમાવી દીધું છે પરંતુ તેમના અંગો થકી કોઇક પરિવારના સ્વજનનો બચાવ થઇ શકતો હોય તો અંગદાન કેમ ન કરીએ … આ તમામ વિચાર સાથે પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.

જેના પરિણામે બે કિડની અને એક લીવરનું દાન મળતા 3 દર્દીઓમાં આ અંગોને પ્રત્યારોપણ કરવામાં આવ્યા અને નવજીવન આપવમાં સફળતા મળી .

સિવિલ હોસ્પિટલમાં 23 મી ઓગસ્ટના રોજ પણ એક અંગદાન થયું જેમાં જામનગરના 40 વર્ષીય શંકરભાઇ કટારાને પણ માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમૈં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણય થી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, આજે રાજ્યના શહેરી વિસ્તાર ઉપરાંત દૂર-સૂદૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને શિક્ષિત સાથે અશિક્ષિત વર્ગના સેવાભાવી લોકો પણ અંગદાનનું મહત્વ સમજીને આ સેવાયજ્ઞમાં જોડાયા છે. પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારને અંગદાનની સમજ આપતા અંગદાનનો કરેલો ત્વરિત નિર્ણય દર્શાવે છે કે જીવ થી જીવ બચાવવાના યજ્ઞમાં લોકો સ્વૈચ્છાએ નિ:સ્વાર્થપણે જોડાઇ રહ્યા છે.

વધુમાં તેઓએ ઉમેર્યુ કે,સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં કુલ 88 અંગદાન થયા છે. જેમાં કુલ 277 અંગોનું દાન મળ્યું છે જેના થકી 254 પીડિત વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.  -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.