Western Times News

Gujarati News

૭૫૦૦ મહિલા કારીગરો એકસાથે ચરખો કાંતે, એવો વિશ્વનો સૌપ્રથમ કાર્યક્રમ સાબરમતીના કાંઠે

7500 women charkha ahmedabad

ખાદી હવે વિશ્વસ્તરે જાણીતી બની છે. વડાપ્રધાન શ્રી ખાદીના સૌથી મોટા બ્રાંડ એમ્બેસેડર તરીકે ઊભર્યા છે : મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ‘ખાદી ઉત્સવ’ યોજાનાર છે, જેમાં ખાદી ક્ષેત્ર સાથે જોડાયેલી ૭૫૦૦ મહિલા કારીગરો એક જ સમયે એક સાથે ચરખો કાંતશે. એક જ સમયે આટલી મોટી સંખ્યામાં ચરખા કાંતવામાં આવે અને એ પણ મહિલાઓ દ્વારા એવી વિરલ ધટના સાબરમતીના કાંઠે યોજાનાર છે.

આજરોજ સરકારના કુટીર ઉદ્યોગ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સમગ્રતયા તૈયારીઓની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ  કાર્યક્રમ સ્થળ અને વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચરખા સ્થળ, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તેમજ જરૂરી સલાહ સૂચનો આપ્યાં હતાં.

કાર્યક્રમ સ્થળની મુલાકાત અને નિરીક્ષણ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની નવી પેઢીને ખાદી વિશે અવગત કરાવીને તેનો ઉપયોગ વધારવા માટે ‘Khadi for Fashion, Khadi for Nation, Khadi for Transformation’ના

માનનીય વડાપ્રધાનશ્રીના મંત્રને સાકાર કરવાના હેતુસર માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે  ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમ યોજાશે. વિશ્વમાં સૌપ્રથમવાર આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે જેમાં ખાદી ગ્રામોદ્યોગસાથે સંકળાયેલ ૭૫૦૦ મહિલા કારીગરો એકસાથે ચરખો કાંતશે અને આ કાર્યક્રમથી ખાદી અને તેને સંબંધિત ગામોદ્યોગને પ્રોત્સાહન મળશે.

મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, ખાદી હવે વિશ્વસ્તરે જાણીતી બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ખાદીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાની ઝૂંબેશ શરૂ કરી હતી. તેમણે રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછું એક ખાદીવસ્ત્ર અપનાવવા અનુરોધ કર્યો હતો. આજે ખાદી યુવાનોમાં ફેશન સ્ટેટસ બની છે.

વધુમાં ઉમેર્યું હતું કે KVICના આંકડાઓ અનુસાર ખાદીના ઉત્પાદનમાં ૧૭૨% નો વધારો થયો છે અને ૨૦૧૪થી ખાદીના વેચાણમાં ૨૪૫% નો વધારો થયો છે. આમ, ખરાં અર્થમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે ગુજરાત અને ભારત ‘લોકલ ફોર વોકલ’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’નાં સૂત્રોને સાર્થક કરવા તરફ આગળ વધી રહ્યું છે.

ખાદીને અપનાવવા વડાપ્રધાન શ્રી મન કી બાતમાં પણ વારંવાર અનુરોધ કરે છે તેનો ઉલ્લેખ કરીને મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી ખાદીના સૌથી મોટા બ્રાંડ એમ્બેસેડર તરીકે ઊભર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.