Western Times News

Gujarati News

પરણવા માટે ભારત આવેલા NRIને એરપોર્ટ પરથી પાછો કઢાયો

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઈમિગ્રેશન ઓથોરિટીને એક એનઆરઆઈની અરજી પર નોટિસ ફટકારી હતી, જે લગ્ન કરવા માટે ભારત આવ્યો હતો, પરંતુ દિલ્હી એરપોર્ટ પરથી તેને પરત મોકલી દેવાયો હતો. તે બાળ જાતીય શોષણ માટે દોષિત હોવાનો યુએસ પાસપોર્ટ પરના સમર્થનના આધારે પાછો કાઢવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાં જન્મેલા ૩૦ વર્ષીય ધનરાજ પટેલે આ અરજી દાખલ કરી હતી, જે પરિવાર સાથે અમરિકામાં સ્થાયી થયો હતો. તેની પાસે અમેરિકાની નાગરિકતા પણ હતી.

૨૭ ડિસેમ્બરના રોજ, પટેલ દુબઈથી દિલ્હી એરપોર્ટ પર આવ્યો હતો, પરંતુ તેને દેશમાં પ્રવેશ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો તેમજ તેના પાસપોર્ટ પરના સમર્થનના આધારે ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા તરત જ પાછો મોકલવામાં આવ્યો હતો. પટેલ હાલ દુબઈમાં છે અને ભારતમાં પ્રવેશ મેળવવા માટેની મંજૂરીની રાહ જાેઈ રહ્યો છે.

આ દરમિયાન તેનો પરિવાર અને ફિયાન્સી અહીં તેની રાહ જાેઈ રહ્યા છે. પટેલે તેમના વકીલ આઈએચ સૈયદ અને આફતાબ અંસારી મારફતે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે, ૨૦૧૫માં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ૨૦૨૧માં તે સજા ભોગવી ચૂક્યો છે, જેમાં ૧૦૦ કલાકની સમાજ સેવા હતી. કેન્દ્ર માટે આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે પટેલની અરજી પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, તે ભારતીય નાગરિક નથી, તે હાલ ભારતમાં રહેતો નથી અને તેથી તેના માટે કેટલાક ચોક્કસ અધિકારો ઉપલબ્ધ નથી.

આ સાથે તેમણે દલીલ કરી હતી કે, ભારત પાસે તેવી વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સત્તા છે, જે પોતાના દેશમાં બાળ શોષણનો દોષિત છે. તેમણે ૨૯મી ડિસેમ્બરે પટેલના વિઝા કેન્સલ કરવા તરફ ધ્યાન દોર્યું હતું અને રજૂઆત કરી હતી કે, અમેરિકાએ ૨૩મી મેના રોજ પટેલનો પાસપોર્ટ કેન્સલ કર્યો હતો.

પટેલે અમાન્ય પાસપોર્ટના આધારે ભારતીય વિઝા મેળવ્યા હતા અને તેથી તેને કેન્સલ કરાયા હોવાનું કહ્યું હતું. એએસજીએ તેમ પણ કહ્યું હતું કે, જાે અરજદાર ભારતમાં લગ્ન કરવા માગે છે તો તેનું સ્વાગત છે, પરંતુ માન્ય વિઝા પર અથવા તે મહિલાને તેના દેશમાં બોલાવી શકે છે.

અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, દેશના ઈમિગ્રેશન સત્તાધીશો વિદેશીઓને તેમની મરજી અથવા ફેસ વેલ્યુ પર પ્રવેશ આપવાની મંજૂરી કે ઈનકાર કરી શકે નહીં. આ સાથે તેણે માન્ય પાસપોર્ટ પર ભારતીય વિઝા મેળવ્યા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

આ કેસની સુનાવણી કરનાર જસ્ટિસ ગીતા ગોપીએ આવા મામલાને નિયંત્રિત કરતા કાયદાની જાેગવાઈઓ વિશે પૂછપરછ કરી અને મંગળવાર સુધીમાં સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.